________________
૧ ૨૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આ બાબતની સ્પષ્ટતા કરતાં શ્રી સર્વાર્થસિદ્ધિમાં કહ્યું છે કે,
अगारेऽवस्थितो घट इति यथा, तथा धर्माधर्मयोर्लोकाकाशेऽवगाहो न भवति, किं तर्हि ? कृत्स्ने तिलेषु तैलवद् इति । अन्योन्यप्रदेशव्याघाताभावोऽवगाहनयोगाद्वेदितव्यः ॥
અર્થ :- ધર્મ અને અધર્મ ઓરડામાં રહેલા ઘડાની જેમ વિશ્વમાં રહેલા નથી. તેઓ લોકાકાશના દરેક બિંદુ(પ્રદેશ)ને વ્યાપ્ત કરે છે, જેવી રીતે તલમાં તેલ હોય છે, તેમ ધર્મ અને અધર્મ દ્રવ્યો, એકબીજાના કાર્ય પર અસર કર્યા વિના, પરસ્પર અંત:પ્રવેશ પામેલા છે. વળી તેઓ (અરૂપી હોવાથી) બીજા અનેકને સમાવેશ કરવાનો ગુણધર્મ ધરાવે છે. ધર્મ અને અધર્મ અખંડ દ્રવ્યો છે -
આ વસ્તુ બુદ્ધિથી સમજવામાં કઠીનાઈ પડે છે. તેને સમજાવવા પ્રકાશનું દષ્ટાંત અપાય છે. એક બલ્બના પ્રકાશથી ઓરડો ભરાય છે. તેમાં બીજા અનેક બલ્બનો પ્રકાશ પણ સમાઈ જાય છે, તેવી રીતે ધર્મ અને અધર્મ એકબીજામાં સમાઈને રહેલાં છે. દરેક બલ્બના પ્રકાશથી ઓરડો ભરેલો છે. તેમ છતાં દરેક બલ્બનો પ્રકાશ પોતાનું આંતરિક સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવતો નથી. ફકત અંતઃપ્રવેશ પામે છે, તેવી રીતે ધર્મ-અધર્મ રહેલા છે. જો કે, આ દષ્ટાંતમાં પણ એક મુદ્દો ભૂલાવો ન જોઈએ કે – સૂક્ષ્મદૃષ્ટિએ પ્રકાશ પણ અણુમય છે. એટલે એક પ્રકાશના અણુઓની વચ્ચે, બીજા પ્રકાશના અણું સ્થાન મેળવી રહી શકે છે. છિદ્રોવાળો હોવાથી તેઓની વચ્ચે જગા સંભવે છે. તે કારણે જ આપણે જોઈ શકીએ છીએ કે, ઘણા બલ્બનો પ્રકાશ એકઠો થતાં, તે વધુ તેજસ્વી જણાય છે. સ્થૂલદષ્ટિએ જુદા જુદા દીવાના પ્રકાશ એકબીજામાં અંતઃપ્રવેશ પામીને રહેલા હોય તેવું પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી તે દષ્ટાંત, ધર્મ અને અધર્મદ્રવ્યની એકબીજામાં અંતઃપ્રવેશની ઘટના બુદ્ધિથી સરળતાથી સમજી શકાય, તેટલા પૂરતું જ સમજવું.