________________
૮૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પૂક્યો. જ્ઞાનીએ આંખો બંધ કરી ૧ કલાક બેસી જવા અને એક ક્ષણ માટે પણ આંખ નહિ ખોલે તો ઉપાય બતાવીશ તેમ કહ્યું. તે આંખો બંધ કરી બેસી ગઈ. થોડીવાર પછી તેનું આંખ ખોલવા મન થયું પણ તેણે મનને વાળ્યું. થોડીવારમાં કોઈ વ્યક્તિ આવી એવું લાગ્યું, એટલે આંખ ઉઘાડી જોઈ લેવાનું મન થયું, પણ આંખો બંઘ રાખવાની છે તે યાદ કરી મન વાળ્યું. પછી કોઈ વ્યક્તિએ વાસણ નીચે મૂક્યાનો અવાજ આવ્યો. એ શું લાવ્યા હશે, તે જોવાનું મન થયું. પણ ફરી મનાવી લીધું. આવી રીતે ૧ કલાકમાં મનને પક્કી રાખ્યું, પછી આંખ ખોલવાનું કહ્યું ત્યારે જ્ઞાનીએ કહ્યું-તમે પરીક્ષામાં પાસ થયા છો. રાજકુમારીએ કહ્યું-મેં તમે કહ્યું તેમ કર્યું પણ મનને શાંત રાખવાનો ઉપાય તો બતાવો? જ્ઞાનીએ કહ્યું ઉપાય મળી જ ગયો છે. ૧ કલાકમાં કેટલીવાર આંખ ઉઘાડવાનું મન થયું? પણ દરેક વખતે તે મનને પકડી રાખ્યું.
આ દ્રષ્ટાંતમાં રાજકુમારી, તેને આપેલા “આંખ ખોલવી નહિ', તે સૂચનને બરાબર પાલન કર્યું. તે પાલન દ્વારા “કંઈક જોવાની ઇચ્છા આવા એક જ ઇન્દ્રિયના એક જ નાનકડા વિષયમાં મનને સ્થિર રાખી શકી. વાસ્તવમાં મનમાં આવી અનેક ઈચ્છાઓના વિષયોના અનેક ગુંચળા પડેલા છે, તેનું પ્રેરક બળ આત્મા સાથે અનેક ભવોથી બંધાયેલા મોહકર્મના પુદ્ગલો જનિત સંસ્કારો છે. તેને તોડવા માટે અધ્યાત્મના સંસ્કારો જરૂરી છે. શ્રી તીર્થકર ભગવંતોએ સૂચવેલા જ્ઞાન, દર્શન, ચારિત્રના આચારોને બરાબર પાલન કરવાથી અધ્યાત્મના સંસ્કારો પ્રબળ બની ઇચ્છાઓના પ્રેરક બળ એવા, મોહના સંસ્કારોને ખતમ કરી નાખે છે, ત્યારે મન પરિપૂર્ણ સ્થિર થઈ જાય છે.
– સત્ય અને પ્રેમ વિશ્વની શક્તિશાળી તાકાત છે.