________________
૬૫
પ્રકાશ થાય છે. સમત્વ પ્રગટવાના સમયે સ્વાનુભવદશા હોય છે તેમાં અપૂર્વ અતીન્દ્રિય આનંદનો પ્રકાશ થાય છે, લાભ થાય છે.
તે સહજ સુખનો બોધ થતાં - અનુભવ થતાં સ્વસંવેદન થતાં જ ઇન્દ્રિયસુખ અને આખા સંસારના બધા સુખદેવગતિ સહિતના) તુચ્છ લાગે છે.
સમ્યકત્વી સદા સુખી, નિર્ભય, નિર્ભર અને પૂર્ણ શાંતિમાં જ રહે છે. તેને સહજ સુખ સ્વાધીન હોવાથી જ્યારે ઇચ્છે ત્યારે અંતર્મુખ અવલોકતાં તેની પ્રાપ્તિ થાય છે. તેને હવે જગતના વિષયોમાંથી રુચિ હટી જતાં, બીજે ક્યાંય ગોઠતું નથી. બીજા કોઈ સાધનનો આશ્રય જરૂરી નથી.
બીજી બધી સાંસારિક આકર્ષક - મનને લોભાવનારી પ્રવૃત્તિઓમાં સુખ કે દુઃખ લાગતું નથી - સમ્યકત્વનું બળ હવે તેને પતિત થવા દેતું નથી. તે સદાય પોતાનામાં જ મગ્ન અને આનંદિત રહે છે.
સમ્યગ્દર્શન પ્રગટાવવાના કાળે તો નિર્વિકલ્પ સમાધીરૂપ સ્વાનુભૂતિ હોય જ. અપૂર્વ આનંદની સાથે તે હોય છે. તે વખતના ઉપયોગને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. ત્યાર પછીના કાળે પણ સમકિતીને અનુભૂતિ કોઈક કોઈક વાર લાંબા અંતરના ગાળે થાય છે તો પણ શુદ્ધાત્મ પ્રતીત તો સદૈવ જ હોય તેને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની મહાન શક્તિ ઉત્પન્ન થયા વગર રહેતી નથી. આ છે સમ્યગ્દર્શનનો અભૂત મહિમા ! સમ્યગ્દર્શન - ભ્રમોથી મુક્તિ અજ્ઞાનતા, માયા, ભ્રાંતિ, મિથ્યાદષ્ટિ, પર્યાયદષ્ટિ - બધા શબ્દોનો અર્થ એક જ છે. માનવ પોતાની અંદર જે ખૂટે છે તેનું આરોપણ કરી તે પોતાને તેમ માનવા લાગે છે. રસીમાં સાપનો ભ્રમ જેમ ભયનું કારણ બને છે, તેવી જ રીતે માનવ ભ્રમોને લીધે પોતાનાથી દૂર થઈ જઈ આ દુઃખરૂપ સંસારયાત્રા કરી રહ્યો છે. આ ભ્રમ મનુષ્ય જીવનમાં કુટુંબ, સંપ્રદાય, રાષ્ટ્ર બધાથી પોષાતો રહે છે. આ એક ભયંકર રોગ છે.
આ અજ્ઞાનની અધંકારમય ખીણમાંથી સમ્યગ્દષ્ટિ વિવેકી વ્યક્તિ જ માનવને બહાર કાઢી શકે. એના ઉપદેશમાં આવે છે કે તમે તમારા યથાર્થ સ્વરૂપને જુઓ! જાણો ! ઓળખો! અનુભવો! તું કોણ છો ? તારું સાચું સ્વરૂપ શું છે? તું કોનાથી પ્રભાવિત થઈ રહ્યો છે? તને કોણ સંચાલિત કરી રહ્યું છે? તું કોનાથી પ્રશિક્ષિત થઈ રહ્યો છે? તને આજ સુધી જે બતાવવામાં આવ્યું છે તે ખરેખર તું છે? આ નામ, રૂપ આદિ તારો ધર્મ કે સ્વભાવ છે? જુદા જુદા વિશેષણોથી જેને બોલાવવામાં આવે છે તે તું છે ખરો? તું દષ્ટા છે કે દશ્ય છે? શું તું તે ઇન્દ્રિયો છે? શું તું મન, બુદ્ધિ, અહંકાર છે કે એનાથી પર છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી જુદું તારું કાંઈ અસ્તિત્વ છે ખરું? શું શરીર અને તું એક છો? કે તને એવો આભાસ થઈ ગયો છે? મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાય ભાવ એ તારા છે? એ બધા તારી અંદર શું કામ ઉદ્ભવે છે? આના ઉત્પાદક કોણ છે? શું આ ચેતનાનો ધર્મ છે? સ્વરૂપ સંબંધી અનાદિથી ચાલી આવેલી ભ્રમણા એ કાંઈ તારી ચીજ છે ખરી? આ બધાં સંયોગોની પ્રાપ્તિ શા કારણે છે?