________________
૪૨
૧) જીવ તત્ત્વ સંબંધી ભૂલ ઃ જીવ ત્રિકાળ જ્ઞાતા સ્વરૂપ છે તે અજ્ઞાનવશ જાણતો નથી અને શરીર છે તે જ હું છું, શરીરના કાર્ય હું કરી શકું એમ માને છે. શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકુળ સંયોગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકુળ સંયોગોથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હું નિર્બળ, હું મનુષ્ય, હું સુંદર, હું કુરૂપ વગેરે માને છે.
અજ્ઞાની જીવ આ રીતે પરને સ્વરૂપ માની પોતાના સ્વતત્ત્વનો (જીવ તત્ત્વનો) ઇન્કાર કરે છે. તેથી તે જીવ તત્ત્વ સંબંધી ભૂલ છે.
૨) અજીવ તત્ત્વ સંબંધી ભૂલ ઃ મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ. શરીર-ધનાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઇષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો - ઇત્યાદિરૂપ; અજીવની અવસ્થાને અજ્ઞાની જીવ પોતાની અવસ્થા માને છે. આમાં અજીવને સ્વતત્ત્વ(જીવ તત્ત્વ) સ્વીકારતાં તે અજીવ તત્ત્વનો અસ્વીકાર કરે છે. આ અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે કારણ કે અજીવને જીવ માને છે. છે
જૈન શાસ્ત્રોથી જીવના ત્રસ-સ્થાવરાદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાસ્થાનરૂપ ભેદો જાણે છે પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદવજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશાના કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયામાં પર્યાયબુદ્ધિથી પોતાપણું માને છે. પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ છે તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે પણ આ જીવની ક્રિયા છે તેનું પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે - એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાતો નથી.
જીવ-અજીવ તત્ત્વ સંબંધી આ ભૂલના કારણે તેની મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્રરૂપ ' પ્રવૃત્તિ હોય છે. હર કોઈ પ્રકારે પોતાને ને શરીરને તે એકરૂપ માને છે. શરીરના અંગરૂપ સ્પર્શનાદિ દ્રવ્ય ઇન્દ્રિયો છે, અજ્ઞાની જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે ‘હાથ વગેરે સ્પર્શ વડે મે સ્પર્ધું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સૂંધ્યું, નેત્ર વડે મેં દેખ્યું, કાન વડે મેં સાંભળ્યું, દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની તે એમ માને છે કે મેં મન વડે જાણ્યું’ એમ અનેક પ્રકારે માત્ર અચેતન જેવો બની પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારે છે.
પોતાનો સ્વભાવ તો જ્ઞાતા-દૃષ્ટા છે. હવે પોતે કેવળ જાણવાવાળો - દેખવાવાળો તો રહેતો નથી પણ જે જે પદાર્થોને તે દેખે-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે અને રાગી-દ્વેષી થાય છે. કોઈના સદ્ભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેમ આ જીવનું કર્યું થતું નથી. કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તા છે જ નહિ પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે, માત્ર જીવ કષાય કરી વ્યર્થ વ્યાકુળ થાય છે.