________________
૫૩૨
પ્ર. ૯ : અજ્ઞાની, જિજ્ઞાસુ જીવ સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન કરવા પ્રયત્ન કરે છે. પણ સ્વભાવને જોયો નથી તો તેનાથી વિભાવને ભિન્ન કેવી રીતે કરી શકે ?
ઉ. ૯ : જો જિજ્ઞાસુ જીવે પહેલાં સ્વભાવને જોયો હોય તો તેને ભેદજ્ઞાન કરવાનું ક્યાં રહ્યું ? જિજ્ઞાસુ જીવે પહેલાં અનુમાનથી નક્કી કરવાનું છે કે આ પર તરફના વલણનો ભાવ છે તે વિભાવ છે. અને અંદર વલણ કરવું તે સ્વભાવ છે. પર તરફના વલણના ભાવમાં આકુળતા ને દુઃખ છે અને અંતર વલણના ભાવમાં શાંતિ છે એમ પહેલાં સ્વભાવને અનુમાનથી નક્કી કરે છે.
પ્ર. ૧૦ : આત્મા અને રાગ જુદા છે તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવ પહેલાં આવી શકે ?
ઉ. ૧૦ : ધારણારૂપે સાધારણ ખ્યાલ આવી શકે. અનુમાનથી પહેલાં નક્કી કરવો. ખરો ખ્યાલ તો અનુભવ કરે ત્યારે આવે છે.
૫. સમ્યગ્દર્શનની વિધિનો ક્રમ ? :
પ્ર. ૧ : આ તત્ત્વનું સ્વરૂપ અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં આવે છે પણ અનુભવથી ખ્યાલમાં નથી આવતું.
:
ઉ. ૧ ઃ પ્રયોજનભૂત નવ તત્ત્વોનાસ્વરૂપ પહેલાં અનુમાન જ્ઞાનથી ખ્યાલમાં આવે પછી અનુભવ થાય છે. પહેલાં શુકન થાય પછી તેનું ફળ આવે છે ને ! તેમ પહેલાં અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં લ્યો પછી અનુભવ થાય.
પ્ર. ૨ ઃ એક જગ્યાએ કહે કે આત્માના લક્ષે આગમનો અભ્યાસ કર એથી તારુ કલ્યાણ થશે, ને બીજે કહે કે શાસ્ત્ર ઉપરનો રાગ પણ છોડી દે. એમ કેમ ?
ઉ. ૨ ઃ પર તરફનું લક્ષ બંધનું કારણ હોવાથી શાસ્ત્ર તરફનો રાગ પણ છોડાવ્યો છે. અને જ્યાં આગમનો અભ્યાસ કરવા કહ્યું છે ત્યાં આગમના અભ્યાસમાં આત્માનું લક્ષ છે તેથી વ્યવહારથી આગમ અભ્યાસને કલ્યાણનું કારણ કહ્યું છે.
પ્ર. ૩ : અભેદ સ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ ગયા પછી વ્રતાદિ કરવાથી શું લાભ છે ?
ઉ. ૩ : શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે છઠ્ઠ ગુણસ્થાને તે તે પ્રકારનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભ રાગ બંધનું કારણ ને હેય છે તેમ જ્ઞાની જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી વ્રતાદિનો શુભ રાગ આવ્યા વિના રહે જ નહિ - એવો જ સ્વભાવ છે.
પ્ર. ૪ : વ્રત-તપ બધા વિકલ્પ જ છે તો પછી કરવા કે નહિ ?
ઉ. ૪ ઃ કરવા ન કરવાની વાત જ નથી. સમ્યગ્દર્શન પછી પાંચમે ગુણસ્થાને તેવા વિકલ્પો આવે છે તે શુભ રાગ છે, ધર્મ નથી એમ જ્ઞાની જાણે છે. મિથ્યાદષ્ટિને તેવા વિકલ્પો આવે છે, તેને શુભ રાગથી પુણ્ય બંધાય છે પણ તે રાગથી લાભ માને છે, રાગને પોતાનું સ્વરૂપ માને છે તેથી મિથ્યાત્વ પણ સાથે બંધાય છે. શુભ છોડીને અશુભમાં જવાની વાત નથી પણ શુભ રાગને પોતાનું સ્વરૂપ નથી તેમ જાણી શુદ્ધતા પ્રગટ કરવાની વાત છે.