________________
પ૨૮ ઉ. ૮: રાગાદિ ભાવો વર્તમાનમાં વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશક છે, અભૂતાર્થ છે, જૂઠા છે. તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે. રાગાદિ ભાવો એક સમયની સ્થિતિવાળા છે ને ભગવાન આત્મા કાયમ ટકનાર અબદ્ધ-સ્પષ્ટ સ્વરૂપ છે. તેથી એક સમયની ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માનુભૂતિ થઈ શકે છે. પર્યાયમાં રાગ હોવા છતાં તે પર્યાય પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવનું લક્ષ કરી અનુભવ કરી શકે છે. પ્ર. ૧૦ઃ આત્મા પરોક્ષ છે તો કેમ જણાય? ઉ. ૧૦ઃ આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી - પ્રત્યક્ષ દેખાતો નથી, પણ આત્મા પ્રત્યક્ષ જ છે, એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે. પ્ર. ૧૧ઃ વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાનસ્વભાવની ખબર શી રીતે પડે? ઉ. ૧૧ : જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લ્ય છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસમ્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માને સ્વસંવેદનથી જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષથી પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહારમાં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે, જેમ સાકરની નાની ટકી ઉપરથી આખી સાકરના સ્વાદનો નિર્ણય થઈ જાય છે. તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં પૂર્ણ જ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે “અધૂરું જ્ઞાન પૂરા જ્ઞાનને ન જાણી શકે, પુરું જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે” તો તેની વાત જુદી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી શકે તો સમ્યજ્ઞાન કદી થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસમ્મુખ થઈને આખા આત્મસ્વભાવને જાણે છે તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન અને પ્રતીત કરે ત્યારે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. પ્ર. ૧૨: પરલક્ષી જ્ઞાનથી આત્મા જણાય નહિને અનાદિમિથ્યાદષ્ટિને સ્વલક્ષી જ્ઞાન નથી તો સાધન શું? ઉ. ૧૨ઃ રાગથી ભિન્ન પડવું તે સાધન છે, પ્રજ્ઞાછીણીને સાધન કહો કે અનુભૂતિ સાધન કહો, તે એક જ સાધન છે. પ્ર. ૧૩ઃ રાગ ને આત્માની સૂક્ષ્મ સંધિ દેખાતી નથી, બીજા વિચારો આવ્યા કરે છે તો પ્રજ્ઞાછીણી કેમ મારવી? ઉ. ૧૩ઃ પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને બંધની સંધિ દેખાય અને જુદા પાડી શકે છે. પ્ર. ૧૪: ઉપયોગને કેટલો ઊંડો લઈ જવાથી આત્માના દર્શન થાય છે - આત્મા પમાય છે?