________________
૫૨૭
નથી ત્યાં ગ્રહણ નથી, ગ્રહણ નથી ત્યાં ધારણા નથી, ધારણા નથી ત્યાં રુચિ નથી અને રુચિ નથી ત્યાં પરિણમન થતું નથી. આ રીતે શ્રવણ, ગ્રહણ, ધારણા અને રુચિ પછી અંતરમાં તેનું પરિણમન કેમ થાય તેની આ વાત છે.
પ્ર. ૬ : સમ્યગ્દર્શનને અંતરંગ ભાવથી ધારણ કર એટલે શું ?
ઉ. ૬ : અંતર સ્વભાવના આશ્રયે પરિણતિ પ્રગટ કરવી તે અંતરંગ ભાવ છે. એવી પરિણતિ અંશે પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વની શ્રદ્ધાદિ રાગ ભાવ છે, તે બહિરંગ ભાવ છે, અંતરંગ ભાવ નથી. આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે, તેના અંતરના અંગમાંથી પરિણતિ પ્રગટ કર. નવ તત્ત્વ, દેવ-ગુરુશાસ્ત્ર કે આ જડ શરીરના વિકલ્પોમાંથી સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. તે બધાનું લક્ષ છોડીને તારા ચૈતન્યરૂપી અંગમાંથી સમ્યગ્દર્શન કાઢ. જે પુણ્ય-પાપના પરિણામ થાય તે તારું ચૈતન્ય અંગ નથી પણ બાહ્ય અંગ છે, કાર્મણ અંગ છે. ચૈતન્યને મૂકીને કર્મના સંબંધે જે ભાવ ઉત્પન્ન થાય તે બહિરંગ ભાવ છે. તે અંતરંગ ભાવ નથી. તેમાંથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતી નથી.
‘અંતરંગ ભાવ’ કહીને આચાર્યદેવે બધા પરભાવોનો નિષેધ કર્યો છે. શરીરાદિ ક્રિયા, વ્રત, તપ, પૂજા, ભક્તિ, પડિમા વગેરેનો શુભ રાગ છે તે બહિરંગ ભાવ છે, વિકાર છે. તેનાથી આત્માનું કલ્યાણ થતું નથી. માટે તે જડની ક્રિયામાં અને બહિરંગ ભાવોમાં એકત્વબુદ્ધિ છોડીને (પરભાવોમાં આત્મબુદ્ધિ છોડીને) એકલા આત્મસ્વભાવનો આશ્રય કરવો તે અંતરંગ ભાવ છે; અને તેવા ભાવથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે જ આત્માનું કલ્યાણ છે.
પ્ર. ૭ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય ક્યા પ્રકારે કરવો ?
ΟΥ
ઉ. ૭ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય આ પ્રમાણે કરવો કે આ જગતમાં હું સ્વભાવથી જ જ્ઞાયક છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારા શેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેય-જ્ઞાયક સંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈના કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્યથી જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે પરિણમી રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી.
જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો
જોઈએ.
પ્ર. ૮ : ન્યાયથી અને તર્કથી તો આ વાત બેસે છે પણ અંદર જવાની કેમ હિંમત ચાલતી નથી ?
ઉ. ૮ : એને પહોંચવા એટલો પુરુષાર્થ નથી, એટલે બહારને બહાર ભટક્યા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી.
પ્ર. ૯ : વર્તમાન કર્મબંધન છે, હીન દશા છે, રાગાદિ ભાવો વર્તે છે, તો શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ?