________________
પ૨૩ પ્ર. ૧૨ : ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી તો પછી આપ જ બતાવો કે તે આત્મા કેમ જાણવામાં આવે ? ઉ. ૧૨ : ભગવાનની વાણી એ શ્રુત કે શાસ્ત્ર છે. શાસ્ત્ર પૌદ્ગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રતથી થતું જ્ઞાન પણ ઉપાધિ છે. કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સૂત્ર-શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે, ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે. પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞપ્રિક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. પ્ર. ૧૩: અગિયાર અંગ ને નવ પૂર્વના જ્ઞાનવાળો પંચ મહાવ્રતોનું પાલન કરે છતાં આત્માનું જ્ઞાન કરવામાં તેને શું બાકી રહી ગયું? ઉ. ૧૩ઃ અગિયાર અંગનું જ્ઞાન ને પંચ મહાવ્રતનું પાલન કરવા છતાં એને ભગવાન આત્માનું અખંડ જ્ઞાન કરવું બાકી રહી ગયું. ખંડ ખંડ જ્ઞાન પરવશ હોવાથી દુઃખનું કારણ હતું. અખંડ આત્માનું જ્ઞાન કર્યા વિના અગિયાર અંગનું જ્ઞાન નાશ પામતા કાળક્રમે નિગોદમાં પણ તે જીવ ચાલ્યો જાય છે. અખંડ આત્માનું જ્ઞાન કરવું તે જ મૂળ વસ્તુ છે. પ્ર. ૧૪: આ ધર્મમાં કાંઈ ત્યાગ કરવાની કે ગ્રહણ કરવાની વાત તો ન આવી? ઉ. ૧૪: આમાં જ યથાર્થ ગ્રહણ-ત્યાગની વાત આવી જાય છે. ગ્રહણ કે ત્યાગ કોઈ બહારની વસ્તુનો થઈ શકતો નથી પણ અંતરમાં જ થાય છે. લીલોતરી વગેરે છોડવાની વાત ન આવી કેમ કે એ વસ્તુઓ તો આત્માથી છૂટી જ છે. હું બીજી વસ્તુઓનું ગ્રહણ કરી શકું કે તેમને છોડી શકું એવી માન્યતા તો અધર્મ છે. ભલે લીલોતરીન ખાતો હોય તેવી માન્યતાવાળો જીવ અધર્મી જ છે. વળી કોઈ ભગવાનના નામનો જપ કરવાની વાત ન આવી, કેમ કે જાપના શબ્દો તો જડ છે, અને તે તરફનો શુભ રાગ તે વિકાર છે-મંદ કષાય છે, તે ધર્મ નથી. માટે હું પરવસ્તુને ગ્રહી કે છોડી શકું એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, રાગથી મને ધર્મ થાય એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, અને જડથી તથા વિકારથી જુદો અંતરમાં પોતાનો સ્વભાવ પૂરો જ્ઞાયકમૂર્તિ છે તેની સાચી શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાને ગ્રહણ કરવાનું આવ્યું. શ્રદ્ધામાં પૂર્ણ સ્વભાવનું ગ્રહણ અને અધૂરાશનો ત્યાગ તે ધર્મ છે. પ્ર. ૧૫ શું દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી? ઉ. ૧૫ : શાસ્ત્રજ્ઞાન તે દ્રવ્યલિંગ છે, નવ તત્ત્વની ભેદવાળી શ્રદ્ધા તે દ્રવ્યલિંગ છે અને છકાય જીવનું ચારિત્ર તે પણ દ્રવ્યલિંગ છે, શરીરનું નગ્નપણું તે પણ દ્રવ્યલિંગ છે, શાસ્ત્રના વિકલ્પો, પંચ મહાવ્રતા આદિના વિકલ્પો એ બધું દ્રવ્યલિંગ છે. એ દ્રવ્યલિંગમાં સંતો ન રોકાણા અને ભાવલિંગરૂપ દર્શન-જ્ઞાનચારિત્રનું સેવન કરતાં થકા મોક્ષમાર્ગ અને મોક્ષને પામ્યા. જો દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો તેને છોડીને અંદર આત્માના આશ્રયે કેમ જાત? જે શ્રદ્ધા-જ્ઞાનને ચૈતન્ય પ્રભુનો આશ્રય નથી તે શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યલિંગ છે, શરીર આશ્રિત છે, પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી.