________________
૫૨૨ પ્ર. ૬ જિનવરે કહેલાં વ્યવહાર ચારિત્રને સાવધાનીપૂર્વક પાળવાથી સમ્યગ્દર્શન થવાનું કારણ તો થાય ને? ઉ. ૬ : જરી યે ન થાય. સમ્યગ્દર્શન થવાનું કારણ તો પોતાનો ત્રિકાળી આત્મા જ છે. ભગવાને કહેલાં વ્યવહારચારિત્રને સાવધાનીપૂર્વક અને પરિપૂર્ણ પાળે તો પણ તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. આ તો વીરાનો માર્ગ છે - શૂરાનો માર્ગ છે, કાયરનું કામ નથી. શુભ રાગને ધર્મ કે ધર્મનું કારણ માનનાર કાયર છે, મિથ્યાત્વી છે. પ્ર. ૭ઃ જેના પ્રતાપે જન્મ-મરણ ટળે ને મુક્તિ મળે એવું અપૂર્વ સમ્યગ્દર્શન પાંચમાં આરામાં જલ્દી થઈ જાય? ઉ. ૭ઃ પાંચમાં આરામાં ક્ષણમાં સમ્યગ્દર્શન થાય. પાંચમો આરો આત્માને નડતો નથી. પાંચમા આરાથી આત્મા પાર છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે વીરોના કામ છે, કાયરનું કામ નથી. પાંચમા આરામાં ન થઈ શકે, હમણાં ન થઈ શકે એમ માનનારા કાયરનું કામ નથી. પછી કરીશ,કાલે કરીશ -એવા વાયદા કરનારનું કામ નથી. હમણાં કરીશ, આજે જે કરીશ - એવા વીરોનું આ કામ છે. આત્મા આનંદ સ્વરૂપ છે, તેની સામે જોવે તેને કાળ - આરો શું નડે? શું કરે? પ્ર. ૮: એક આત્માની જ સન્મુખ થવાનું છે તો એના માટે આટલાં બધા શાસ્ત્રોની રચના આચાર્યદેવે કેમ કરી ? ઉ. ૮ઃ એની ભૂલો એટલી બધી છે એ બતાવવા માટે આટલાં બધાં શાસ્ત્રોની રચના થઈ છે, કરી નથી, પુદ્ગલથી થઈ છે. પ્ર. ૮ઃ પરના લક્ષથી આત્મામાં જવાતું નથી પણ શાસ્ત્ર વાંચવાથી તો આત્મામાં જવાય ને? ઉ. ૮: શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી. પ્ર. ૧૦ઃ તો શાસ્ત્ર વાંચવા નહિ ને? ઉ. ૧૦ : આત્માના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો તેમ પ્રવચનસારમાં કહ્યું છે અને સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવે કહ્યું છે કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને સાંભળ! એનો અર્થ એ છે કે તું સિદ્ધ સ્વરૂપ છો એવી શ્રદ્ધા - પ્રતીતિ કરીને સાંભળ, સિદ્ધ સ્વરૂપમાં દષ્ટિ જોડી છે એટલે સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ થશે. પ્ર. ૧૧ શું ઇન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનનું કારણ નથી? ઉ. ૧૧ : અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડ ખંડ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિય જ્ઞાન તે આત્મા નહિ. આંખથી હજારો શાસ્ત્રો વાંચ્યા કે કાનથી સાંભળ્યા તે ઇન્દ્રિયજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહિ. આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહિ.