________________
૫૧૦
આત્મામાં આનંદગુણ છે તેને વિકલ્પ, રાગની કે બાહ્ય પદાર્થની અર્થાત્ દેવલોકના ને ચક્રવર્તીના કોઈ સુખોની અપેક્ષા નથી. આત્મા સ્વયં આનંદ સ્વરૂપ જ છે. તેથી તે આનંદ પણ નિરપેક્ષ - કોઈની અપેક્ષા વગરનો છે. વિભાવોથી છૂટેલો ને જગતથી ન્યારો-ઉપર તરતો-આત્મા અદ્ભૂત આનંદ તરંગમાં ડોલાયમાન થઈ રહ્યો છે, ખેલી રહ્યો છે, રમી રહ્યો છે. નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી અને પ્રમાણ અસ્ત થઈ જાય છે ત્યારે આત્મા અંદરથી કોઈ જુદો પ્રગટ થાય છે. ચૈતન્ય સ્વરૂપ લીલા કરતો અંદરથી પ્રગટ થાય છે. કોઈ કહે અમને શાંતિ થઈ ગઈ, તે આ વાત નથી. આ તો જુદું છે, આ આનંદ તરંગો જુદા છે. આનંદ અંતરમાંથી સ્વયં આવે છે. આ તો વિકલ્પથી બધી રીતે છૂટીને આનંદ પ્રગટે છે અને તે જુદી જાતનો પ્રગટે છે.
પ્ર. ૫ : પર્યાયમાં અનુભવ પર્યાયનો થાય છે ને ?
ઉ ૫ : અનુભવ ભલે પર્યાયમાં થાય પણ આત્મામાં અનંત ગુણો છે તે ગુણો તેને ખ્યાલમાં આવે છે. દ્રવ્યને છોડીને પર્યાય અઘ્ધર રહેતી નથી, પર્યાય દ્રવ્યની જ છે. વેદન ભલે પર્યાયનું થાય, પણ દ્રવ્ય તેમાં જણાય છે. દ્રવ્યમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતગુણો છે ને પર્યાય તેને જાણે છે. દ્રવ્ય કોઈ વસ્તુ જ નથી કે સાવ શૂન્ય છે એવું નથી. તેમાં ગુણો ભરેલા છે. જેમ પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ગરૂપે પરિણમે તે બધી તેની પર્યાય છે. કેરી ખટાશરૂપે પરિણમે, મીઠાસરૂપે પરિણમે તે બધી પુદ્ગલની પર્યાયો છે. પણ તેવા ગુણ કોના છે ? કેરીના - પુદ્ગલના છે. તેમ આત્મા જ્ઞાન-દર્શનઆનંદરૂપે પરિણમે તે બધી તેની પર્યાય છે. પણ પરિણમનાર કોણ છે ? પોતે ચૈતન્ય વસ્તુ. ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે અને તે ચૈતન્યની પર્યાય છે એટલે તે પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે, દ્રવ્યના ગુણોને ખ્યાલમાં લઈ શકે છે કે ગુણો આવા છે.
વેદન ભલે પર્યાયનું થાય પણ તે જાણે છે દ્રવ્યને. તથા દ્રવ્યની પોતાની પર્યાય છે, બીજાની નથી. પર્યાય કાંઈ અઘ્ધર લટકતી નથી. ચૈતન્યની પર્યાય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે પરિણમે તે પોતાની પર્યાય દ્રવ્યથી જુદી નથી. પર્યાયનો સ્વભાવ એ રીતે જુદો છે કે પર્યાય ક્ષણિક છે ને દ્રવ્ય શાશ્વત છે. છતાં પણ પર્યાય દ્રવ્યની છે, આત્માના આધારે પરિણમે છે, નિરાધાર નથી. જો દ્રવ્યના આધારે પર્યાય પરિણમિત ન હોય તો દ્રવ્ય અને પર્યાયના બે કટકા થઈ જાય. પર્યાય તો ક્ષણિક છે, તે ચાલી જાય છે અને આત્મા શાશ્વત છે. તેમાંથી બીજી બીજી પર્યાય આવ્યા જ કરે છે. જ્ઞાનની જ્ઞાનરૂપે, શ્રદ્ધાની શ્રદ્ધારૂપે...એમ નવી નવી પર્યાય ચૈતન્યમાંથી આવ્યા જ કરે છે.
જે અપેક્ષાએ દ્રવ્ય-પર્યાયના ભેદની વાત આવે છે, તે અપેક્ષાએ ભેદ છે. પણ દ્રવ્ય-ગુણપર્યાયને સર્વથા ભેદ નથી. તેમને લક્ષણ ભેદ છે, સંખ્યા ભેદ છે - એવી રીતે ભેદ છે. દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ જુદા કહેવાય પણ તેમને સર્વથા જુદા ન સમજવા. વસ્તુના કટકા ન સમજવા. જેમ છે તેમ સમજવું.