________________
૪૫૨
૨) કેવળજ્ઞાન = અસહાય જ્ઞાન; એટલે કે ઇન્દ્રિય, મન કે આલોકની અપેક્ષા રહિત આ જ્ઞાન છે. ત્રિકાળ ગોચર અનંત પર્યાયોને પ્રાપ્ત અનંત વસ્તુઓને તે જાણે છે, અસંકુચિત (સંકોચ વગરનું) છે, અને પ્રતિપક્ષી રહિત છે, કેવળજ્ઞાન અમર્યાદિત છે.
૩) કેવળજ્ઞાન નિરપેક્ષ હોવાથી બાહ્ય પદાર્થોની અપેક્ષા વિના એટલે કે નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોને જાણે તેમાં કોઈ વિરોધ નથી. કેવળજ્ઞાનને વિપર્યયજ્ઞાનપણાનો પણ પ્રસંગ નથી, કેમ કે યથાર્થ સ્વરૂપથી તે પદાર્થોને જાણે છે.
૪) સર્વ દ્રવ્ય અને તે દ્રવ્યના ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમથી એક કાળે કેવળજ્ઞાન જાણે છે; તે જ્ઞાન સહજ (ઇચ્છા વિના) જાણે છે. કેવળજ્ઞાનમાં એવી શક્તિ છે કે અનંતાનંત લોકઅલાક હોય તો પણ તેને જાણવાને કેવળજ્ઞાન સમર્થ છે.
૫) એક સાથે સર્વથા જાણવાનું એક એક જીવમાં સામર્થ્ય છે.
૬) હું પરને જાણું તો મોટો’ એમ નહિ, પણ મારું બેહદ સામર્થ્ય અનંતજ્ઞાન - ઐશ્વર્યપણે હોવાથી હું પૂર્ણ જ્ઞાનઘન સ્વાધીન આત્મા છું - એમ પૂર્ણ સાધ્યને દરેક જીવે નક્કી કરવું જોઈએ; એમ નક્કી કરી સ્વથી એકત્વ અને પરથી વિભક્ત (ભિન્ન) પોતાના એકાકાર સ્વરૂપ તરફ જીવે વળવું જોઈએ, પોતાના એકાકાર સ્વરૂપ તરફ વળતાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટી ક્રમે ક્રમે જીવ આગળ વધે છે અને તેની પૂર્ણ જ્ઞાનદશા અલ્પ કાળમાં પ્રગટે છે.
કેવળજ્ઞાનનું સ્વરૂપ (વિશેષ) :
૧) તે કેવળજ્ઞાન સકળ છે, સંપૂર્ણ છે અને અસપત્ન છે. અખંડ હોવાથી તે સકળ છે.
૨) સકળ દ્રવ્ય, ગુણ અને પર્યાયોના ભેદનું જ્ઞાન અન્યથા ન બની શકવાથી જેમનું અસ્તિત્વ નિશ્ચિત છે એવા જ્ઞાનના અવયવોનું નામ કળા છે; આ કળાઓ સાથે તે અવસ્થિત રહે છે તેથી સકળ છે. ૩) સંપૂર્ણ : ‘સમ’નો અર્થ સમ્યક્ છે. સમ્યક્ એટલે પરસ્પર પરિહાર લક્ષણવાળો વિરોધ હોવા છતાં પણ સહાન અવસ્થાન લક્ષણવાળો વિરોધ ન હોવાથી કારણ કે તે અનંત દર્શન, અનંત વીર્ય, વિરતિ અને ક્ષાયિક સમ્યક્ત્વ આદિ અનંત ગુણોથી પૂર્ણ છે; તેથી તેને સંપૂર્ણ કહેવામાં આવે છે. ૪) અસપત્ન ઃ સપત્નનો અર્થ શત્રુ છે. કેવળજ્ઞાનના શત્રુ કર્મ છે. તે એને રહ્યા નથી એટલે કેવળજ્ઞાન અસપત્ન છે. તેણે પોતાના પ્રતિપક્ષી ઘાતીચતુષ્કનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે, એ કથનનું તાત્પર્ય છે. આ કેવળજ્ઞાન સ્વયં જ ઉત્પન્ન થાય છે.
૫) સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનથી યુક્ત ભગવાન દેવલોક અને અસુરલોક સહિત મનુષ્યલોકની આગતિ, ગતિ, ચયન, ઉપપાદ, બંધ, મોક્ષ, ઋદ્ધિ, સ્થિતિ, યુતિ, અનુભાગ, તર્ક, કળ, મન, માનસિક, ભુક્ત, કૃત, પ્રતિસેવિત, આદિકર્મ, અરહકર્મ, સર્વ લોક, સર્વ જીવો અને સર્વ ભાવોને સમ્યક્ પ્રકારે યુગપદ જાણે છે, દેખે છે.