________________
૪૨૫
‘આત્મા’ એમ કહે પણ ‘આત્મા’ વસ્તુ કેવી છે તેનું સ્વરૂપ ન જાણે તો તત્ત્વની શ્રદ્ધા થાય નહિ અને ‘જ્ઞાનસ્વરૂપ’ એમ કહે પણ જ્ઞાનસ્વરૂપ આત્માનું છે એમ ન જાણે તો વસ્તુના ભાન વગર તત્ત્વની સાચી શ્રદ્ધા થાય નહિ. માટે વસ્તુ અને તેના ભાવને ઓળખવાથી તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય છે.
હું જ્ઞાન-દર્શનરૂપ સ્વભાવનો ધરનાર આત્મા છું અને વર્ણાદિ સ્વભાવનો ધારક પુદ્ગલ છે તે મારાથી ભિન્ન છે આમ ઓળખ્યા વગર સ્વ-પરનું ભેદજ્ઞાન થાય નહિ. સત્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન જ આત્માને હિતકારી છે, તે જ આત્માને કલ્યાણકારી છે. મોક્ષના ઉપાયનું મૂળ તે જ છે. વસ્તુ અને વસ્તુનો સ્વભાવ જાણીને યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે.
જગતમાં અનંત જીવ છે, અનંતાનંત અજીવ પદાર્થો છે. તે દરેક સ્વતંત્ર ‘અર્થ’ છે. અને તે દરેક પદાર્થ પોતપોતાના ભાવ સહિત છે તે તેનું તત્ત્વ છે. બધા તત્ત્વનો પૃથ્થક પૃથ્થક સ્વરૂપે જેમ છે તેમ માને તો જ સાચી શ્રઘ્ધા થાય. વસ્તુ અને તે વસ્તુનું સ્વરૂપ અભેદ છે તથા બીજી વસ્તુ અને તેનું સ્વરૂપ આનાથી જુદું છે. એક તત્ત્વથી બીજા તત્ત્વનું કામ થાય એમ માનનારને તત્ત્વાર્થની શ્રદ્ધા નથી.
દરેક પદાર્થ પોતપોતાના ભિન્ન ભિન્ન ભાવો સહિત છે. જીવ પદાર્થ છે, તેની શકિત તે તેનું તત્ત્વ છે. અજીવ પદાર્થ છે, તેની શક્તિ તે તેનું તત્ત્વ છે. અજીવને માને પણ હાલવા-ચાલવાની શક્તિને ન માને, જીવને લીધે તે હાલી ચાલી શકે એમ માને તો તેણે અજીવ પદાર્થને માન્યો જ નથી. કેમ કે તેની શક્તિના જ્ઞાન વગર પદાર્થની શ્રદ્ધા થાય જ નહિ.
વસ્તુ તે અર્થ અને તેની સ્વાભાવિક શક્તિ તે તત્ત્વ. એ રીતે પદાર્થને અને તેના ભાવને ઓળખીને શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે, અને આવું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
અહીં સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવે છે. સમ્યગ્દર્શન લક્ષ્ય છે અને જે વડે ઓળખાય તે લક્ષણ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. એકલું તત્ત્વ કહે તો જેનો ભાવ છે તેની શ્રદ્ધા વિના કાર્યકારી ન થાય. એકલો અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયને કહે તો તેના ભાવ વિના કાર્યકારી ન થાય. માટે સ્વભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન કાર્યકારી છે.
અહીં મોક્ષમાર્ગનું સ્વરૂપ જાણી મોક્ષનું પ્રયોજન છે.
જીવ અને અજીવ મૂળ તત્ત્વ છે.
આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પાંચ તત્ત્વો જીવની તથા પુદ્ગલની પર્યાયો છે.
વિકાર આસ્રવ તે જીવનો ભાવ છે. કર્મનું આવવું તે જડનો ભાવ છે.
પુણ્ય-પાપ આસ્રવ છે, તેમાં અટકવું તે બંધ છે.
વિકારનો અંશ ન થવો અને અંતરમાં શુદ્ધદશા થવી તે સંવર છે.
શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે.
આત્માની પૂર્ણ શુદ્ધશા થવી તે મોક્ષ છે.