________________
૪૧૪ લક્ષણો એક સાથે હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે છે, કાં તો સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે, કાં તો આત્મસ્વરૂપને જ સંભાળે છે અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાના પ્રકારના વિચાર થાય પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ તત્ત્વવિચાર કરે છે તો ભેદવિજ્ઞાનાદિકના અભિપ્રાય સહિત કરે છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે, માટે સમ્યગ્દષ્ટિના શ્રદ્ધાનમાં તો ચારે લક્ષણોનો અંગીકાર છે, પણ જેને વિપરીતાભિનિવેશ હોય છે તેને એ લક્ષણો આભાસમાત્ર હોય છે, સાચાં હોતા નથી. તે જિનમતના જીવાદિતત્ત્વોને માને છે, અન્યના માનતો નથી તથા તેના નામ-ભેદાદિને શીખે છે, એ પ્રમાણે તેને તત્વાર્થ શ્રદ્ધાન હોય છે પરંતુ તેના યથાર્થ ભાવનું શ્રદ્ધાન થતું નથી. વળી એ સ્વ-પરના ભિન્નપણાની વાતો કરે છે તથા વસ્ત્રાદિમાં પરબુદ્ધિ ચિંતવન કરે છે, પરંતુ જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તથા વસ્ત્રાદિમાં પરબુદ્ધિ છે, તેવી આત્મામાં અહંબુદ્ધિ અને શરીરમાં પરબુદ્ધિ તેને થતી નથી. તે આત્માને જિનવચનાનુસાર ચિંતવે છે પરંતુ પ્રતીતિપણે આપને આપરૂપ શ્રદ્ધાન કરતો નથી; તથા અરહંતાદ વિના અન્ય કુદેવાદિકને તે માનતો નથી, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે એ લક્ષણાભાસો મિથ્યાદષ્ટિને હોય છે, તેમાં કોઈ હોય કોઈ ન હોય, પરંતુ તેને અહીં ભિન્નપણું પણ સંભવતું નથી. બીજુ એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે પહેલાં તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્ત્વોનો વિચાર થાય, પછી સ્વ-પરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે, એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષમાર્ગને પામી જીવ સિદ્ધપદને પણ પામે, તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરે તેને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઇચ્છે છે તેણે તો જ્યાં સુધી સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને પણ અનુક્રમથી અંગીકાર કરવા.
આ રીતે સમ્યકત્વના લક્ષણ તો અનેક પ્રકારના કહ્યા છે પણ તેમાં અહીં તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણને જ મુખ્ય કહ્યું છે. એનું મુખ્ય કારણ તુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ ઊપજે છે તથા આ તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઊપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યું છે.
તત્વાર્થનો વિચાર તો વિપરીતાભિનિવેશ દૂર કરવામાં શીઘ કારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીધ્ર કારણરૂપ થતા નથી વા વિપરીતાભિનિવેશમાં પણ કારણ થઈ જાય છે, તેથી અહીં સર્વ પ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશ રહિત જીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન જ સમ્યકત્વનું
લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તે જ સમ્યગ્દષ્ટિ જાણવો. ૩. સરાગ સમ્યગ્દષ્ટિના પ્રશમાદિ ભાવોઃ
સમ્યગ્દષ્ટિને રાગ સાથે જોડાણ હોય ત્યારે નીચે પ્રકારના શુભ ભાવ હોય છે; ૧) પ્રશમ ૨) સંવેગ ૩) નિર્વેદ ૪) અનુકંપા ૫) આસ્તિક્ય.