________________
૪૦૭
ગાથા ૧૨૭ : ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મયાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ભાવાર્થ : આપે છ પદ સમજાવીને મ્યાનથી તરવારની માફક આત્મા તદ્ન જુદો છે અર્થાત્ કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ એમ બતાવ્યું એ આપનો પાર વગરનો ઉપકાર છે.
ગાથા ૧૨૮ : દર્શન ષટે શમાય છે, આ ષટ્ સ્થાનક માહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ. ભાવાર્થ : છ પદમાં જગતમાં ચાલતા એકાન્તિક છ એ દર્શનમાં રહેલી ભૂલ સમજાઈ જાય છે, અને આ છ પદનો બધા પડખાંથી એટલે અનેકાન્ત દૃષ્ટિથી વિચાર કરતાં આત્માના સ્વરૂપની કાંઈ પણ શંકા રહેતી નથી. સંપૂર્ણ શ્રદ્ધા પ્રગટ થાય છે.
ઉપસંહાર ઃ
ગાથા ૧૨૯ : આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ભાવાર્થ : આત્માની અભાન દશા (ભ્રમણા) જેવો કોઈ રોગ નથી, અને આત્મજ્ઞાની ગુરુ તે રોગ મટાડવાને માટે સાચા જાણકાર વૈદ્ય છે. સદ્ગુરુએ સમજાવેલ આત્મસ્વરૂપનું જ્ઞાન જેવું બીજું કોઈ પથ્ય નથી, અને તે રોગની દવા આત્મસ્વરૂપના વિચાર અને ધ્યાન છે.
ગાથા ૧૩૦ : જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદી નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ભાવાર્થ : જો આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના હોય તો આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પુરુષાર્થને વાળો. ભવ પૂરા થવાના હશે તે દી થશે વગેરે ખોટાં બહાના કાઢી આત્માના લાભને છેદો નહિ.
ગાથા ૧૩૧ : નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય. ભાવાર્થ : આત્માનું ત્રિકાળી સ્વરૂપ બતાવનારી વાણી સાંભળીને સાચો પુરુષાર્થ છોડવો નહિ પણ તે ત્રિકાળી આત્મસ્વરૂપ લક્ષમાં રાખી એટલે બરાબર સમજી શુદ્ધતા પ્રગટ કરવા પુરુષાર્થ કરવો.
ગાથા ૧૩૨ : નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ભાવાર્થ : એકલું ત્રિકાળી સ્વરૂપ બતાવનારું જ્ઞાનનું પડખું આમાં કહ્યું નથી, તેમજ એકલું વર્તમાન પર્યાય બતાવના જ્ઞાનનું પડખું કહ્યું નથી, પણ નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે રહેલ છે. આત્માનો ત્રિકાળી સ્વરૂપ એ એનો નિશ્ચય છે અને તેના ગુણોનું પરિણમન એ તેનો વ્યવહાર છે અને બન્ને એક જ આત્મામાં સાથે રહેલ છે.
ગાથા ૧૩૩ : ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર. ભાવાર્થ : ગચ્છ અને મતની જે ઊંધી પકડ તે સાચો વ્યવહાર નથી, અને પોતાના આત્મસ્વરૂપનું ભાન ન હોવું તે ખરેખર અસાર છે.