________________
૪૦૫
છે. અર્થાત્ સ્વભાવમાં સ્થિરતા વધે છે અને ક્રમે ક્રમે વધીને વીતરાગ દશાને તે જીવ પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
ગાથા ૧૧૩ : કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ભાવાર્થ : સંપૂર્ણ રાગ-દ્વેષ વગરનું પોતાના આત્મસ્વભાવનું નાશ ન પામે તેવું જે જ્ઞાન પ્રગટે તે જ્ઞાનને સંપૂર્ણ પવિત્ર જ્ઞાન કહેવામાં આવે છે; શરીર હોવા છતાં ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશા અહીં અનુભવાય છે. ગાથા ૧૧૪ : કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ભાવાર્થ : કરોડો વર્ષનું સ્વપ્ન પણ તેવી લાંબી ઊંધમાંથી જાગતા જીવને શમી જાય છે તેમ અનાદિનો મિથ્યાભાવ, આત્મજ્ઞાન થતાં ટળે છે, દૂર થાય છે.
ગાથા ૧૧૫ : : છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.
ભાવાર્થ ઃ શરીર મારું છે એવી ભ્રમણા અથવા શરીરનું હું કાંઈ કરી શકું એવી ભ્રમણા જીવ જ્ઞાનભાવે છોડે તો તું ભાવકર્મનો કર્તા નથી અને તું તે ભાવકર્મનો ભોગવનારો પણ નથી. અર્થાત્ તું તેનો જ્ઞાતા-દષ્ટા છો એ જ ધર્મનું રહસ્ય છે.
ગાથા ૧૧૬ : તે જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.
ભાવાર્થ : એ જ સાચી માન્યતારૂપ તથા સ્થિરતારૂપ ધર્મથી પૂર્ણ પવિત્રતા પ્રગટે છે, તું ત્રણે કાળે શુદ્ધ આત્મસ્વરૂપ છો, વળી તું અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ સ્વરૂપ તથા કોઈથી તને બાધા ન થાય એવું તારું સ્વરૂપ, સ્વભાવ છે.
ગાથા ૧૧૭ : શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. ભાવાર્થ : તું શુદ્ધ છો; અર્થાત્ રાગાદિક અને દેહાદિક સર્વ પરભાવોથી જુદો છો, તું બોધ સ્વરૂપ છો, ચૈતન્યનો નિબિડ પિંડ છો, તું પોતે જ જ્ઞાનજ્યોતિ છો અર્થાત્ તારા શુદ્ધ જ્ઞાન વડે વિકારનો નાશ કરનારો છો અને તું સુખનો ભંડાર છો; વધારે કેટલું કહેવું ? તું પોતે આ આત્મસ્વરૂપનો વિચાર કર તો તારી શુદ્ધતા પ્રાપ્ત કરીશ.
ગાથા ૧૧૮ : નિશ્ચય સર્વ જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધી માંય. ભાવાર્થ : સર્વ જ્ઞાનીઓનો નિર્ણય આમાં આવી એટલે શમાઈ જાય છે, એમ કહીને સદ્ગુરુ પોતાના સહજ સ્વભાવમાં સ્થિર થયા અને સહજ મૌનતાને પ્રાપ્ત થયા અર્થાત્ વાણી બંધ થઈ.
શિષ્ય બોધબીજ પ્રાપ્તિ ઃ
ગાથા ૧૧૯ : સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંથી લહ્યું, દૂર થયું અજ્ઞાન.