________________
૪૦૪
ગાથા ૧૦૪ : કર્મ બંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ભાવાર્થ : ક્રોધ, માન, માયા, લોભ વગેરેના નિમિત્તે કર્મબંધ થાય છે; ક્ષમા, સમતા વગેરે ક્રોધાદિને ટાળે છે, આનો પ્રત્યક્ષ અનુભવ બધાયને છે એમાં કોઈને સંદેહ પડે તેવું નથી.
ગાથા ૧૦૫ : છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ભાવાર્થ : અભિપ્રાય અને માન્યતાની ખોટી પકડ તેમજ તેવું વર્તન છોડીને આ કહેલો માર્ગ જે સાધશે તે થોડા ભવમાં મોક્ષ પામશે, એટલે કે તેને ભવકટી થઈ ગઈ છે.
ગાથા ૧૦૬ : ષટ્ પદના ષટ્ પ્રશ્ન તે, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.
ભાવાર્થ : છ પદના છ પ્રશ્નો તેં વિચાર કરીને પૂછ્યાં છે તે છ પદનું બધા પડખાંનું (અનેકાન્ત) જ્ઞાન તે મોક્ષમાર્ગ છે એમ નક્કી કર.
ગાથા ૧૦૭ : જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ભાવાર્થ : આ જે કહ્યો તે માર્ગ જો હોય તો જાતિ અને વેષનો વીતરાગમાર્ગમાં ભેદ નથી. શુદ્ધ માર્ગ પ્રગટ કરે તે જીવ મુક્તિ મેળવે, એમાં કોઈ પણ ફેર નથી.
ગાથા ૧૦૮ : કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર યા, તે કહીયે જિજ્ઞાસ.
ભાવાર્થ : કષાય પાતળા પાડ્યા છે અને માત્ર પવિત્રતાનું જેને વલણ છે, જેને ભવનો ખેદ વર્તે છે અને આત્મસ્વરૂપની દયા છે તે જીવ જિજ્ઞાસુ એટલે મોક્ષમાર્ગ પામવાને લાયક છે એમ જ્ઞાનીઓ કહે છે.
ગાથા ૧૦૯ : તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. ભાવાર્થ : તેવા જિજ્ઞાસુ જીવને આત્મજ્ઞાની ગુરુ દ્વારા આત્માનો ઉપદેશ મળે છે, એ રીતે જિજ્ઞાસુ જીવ પોતાના સાચા સ્વરૂપની ઓળખાણને પામે છે અને પોતાના આત્માની શુદ્ધિ અંતરમાં શોધે છે.
ગાથા ૧૧૦ : મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ભાવાર્થ : ખોટી માન્યતા અને ખોટા જ્ઞાનની પકડ છોડીને આત્મજ્ઞાની ગુરુના લક્ષે કહેલું તત્ત્વ સમજે તે જીવ શુદ્ધ સમકિતને, નિશ્ચય સમકિતને પામે છે. તેમાં કોઈ ભેદ કે પક્ષ નથી અર્થાત્ એ પ્રમાણે જે કરે તે બધાને સમકિત થાય જ છે.
ગાથા ૧૧૧ : વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ભાવાર્થ : પોતાના સ્વભાવની સાચી પ્રતીત, સાચું જ્ઞાન, સ્થિરતા (નિર્વિકલ્પતા) વર્તે અને પોતાના ભાવમાં વર્તમાન અવસ્થા સ્વરૂપ તરફ વળે તે ખરું નિશ્ચય સમકિત છે.
ગાથા ૧૧૨ : વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ભાવાર્થ : તે સમકિત જેમ જેમ વધતું જાય તેમ તેમ ચારિત્રના દોષને તે ટાળે છે તેથી ચારિત્રનું પ્રગટવું થાય