________________
૪૦૨
ગાથા ૮૮ : શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિ માંય; અશુભ કરે નર્કાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ભાવાર્થ : પુણ્ય કરે તો દેવ વગેરે ગતિઓમાં ફળ ભોગવે છે, અને પાપ કરે તો નરક વગેરે ગતિઓમાં ફળ ભોગવે છે પણ કર્મ વિનાનો કોઈ પણ કાળે અને સ્થળે થતો નથી.
સમાધાનઃ
ગાથા ૮૯ : જે શુભાશુભ કર્મપદ, જાણ્યા સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ભાવાર્થ : જે શુભ અને અશુભ કર્મપદ સંસારનું ફળ આપનારા છે એવું સાચું જ્ઞાન મેં જાણ્યું તેમ પુણ્યપાપથી પાછ ફરતાં મોક્ષરૂપી સાચા ફળની પ્રાપ્તિ થાય છે, એ રીત તું સારી પેઠે જાણ.
ગાથા ૯૦ : વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ. ભાવાર્થ : પુણ્ય-પાપરૂપી ભાવકર્મ કરતાં, તે અનંત કાળ ચાલ્યો ગયો, તે પુણ્ય-પાપ ભાવથી ધર્મ થાય એવી માન્યતા ટાળતાં પવિત્રતાનો સ્વભાવ પ્રગટે છે.
ગાથા ૯૧ : દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ભાવાર્થ : એ રીતે સિદ્ધ સ્વરૂપ મુક્તિ કે જે શાશ્વત (કાયમ ટકનારી) પોતાની અવસ્થા છે તે જીવ પ્રગટ કરે છે અને પોતાનું સંપૂર્ણ અનંત સુખ ભોગવે છે. ત્યાં દેહ વગેરે સંયોગો પૂરેપૂરા છૂટી જાય છે.
ગાથા ૯૨ : હોય કદાપી મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતના, શાથી છેદ્યા જાય ? ભાવાર્થ : કદી મોક્ષ અવસ્થા થતી હોય તો પણ તેનો વિરોધ વગરનો ઉપાય જણાતો નથી, વળી કર્મો અનંત કાળથી છે તે કેવી રીતે ટાળી શકાય ?
ગાથા ૯૩ : અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.
ભાવાર્થ : અથવા જગતમાં અભિપ્રાયો અને ધાર્મિક માન્યતાઓ અનેક પ્રકારની છે અને તેઓ જુદી જુદી જાતના સાધન કહે છે. તેમાં કયો અભિપ્રાય સાચો છે તેનો નિર્ણય હું કરી શકતો નથી.
ગાથા ૯૪ : કયી જાતિમાં મોક્ષ છે, કયાં વેશમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.
ભાવાર્થ : કઈ જાતિમાં મોક્ષ થાય અને કયા વેષમાં મોક્ષ થાય એનો નિર્ણય મારાથી થઈ શકતો નથી કેમ કે એમાં ઘણાં ભેદો છે એ મોટી મુશ્કેલી છે.
ગાથા ૯૫ ઃ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યો તણો, શો ઉપકાર જ થાય ? ભાવાર્થ : તેથી મને એમ લાગે છે કે મોક્ષનો ઉપાય મળે તેવો નથી, અને તેથી જીવ વગેરે મેં જાણ્યા તેનો શો લાભ ખરેખર થાય ?