________________
૩૯૬
છે, અને તે જ્ઞાન વડે મોહનો નાશ થઈ શાશ્વત સુખની દશા જીવ પામે છે.
ગાથા ૪૨ : ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું યત્પદ આંહી. ભાવાર્થ : તેવી સાચી વિચારદશા જીવો પ્રગટ કરે અને પૂર્ણ પવિત્રતાનો ઉપાય સમજવામાં આવે તે માટે ગુરુ અને શિષ્યના પ્રશ્નોત્તરરૂપે અહીં છ પદ કહેવામાં આવે છે.
ગાથા ૪૩: ‘આત્મા છે’, ‘તે નિત્ય છે’, ‘છે કર્તા નિજ કર્મ’; ‘છે ભોક્તા’ વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ.' ભાવાર્થ : (૧) આત્માનું હોવાપણું છે. (૨) તે કાયમી છે (૩) તે પોતાના ભાવનો કર્તા છે (૪) પોતાના ભાવનો ભોક્તા છે (૫) વળી પૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરી શકાય છે (૬) તે પવિત્રતાનો ઉપાય ત્રિકાળ સાચો ધર્મ છે.
ગાથા ૪૪ : ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ.
ભાવાર્થ : જગતમાં ચાલતી બીજી ધાર્મિક માન્યતાના છ ભેદો છે. તેમને ભેગા લઈએ તો તે પણ છ સ્થાનકપણે થાય છે. અર્થાત્ છ માંથી એકેક દર્શન થોડા થોડા સ્થાનક માત્રને માને છે; સુધર્મ છ એ પદોને માને છે. એ છ પદો અહીં જ્ઞાનીઓએ કહ્યા મુજબ આત્માના ત્રિકાળી સ્વભાવને સમજાવવા ટૂંકમાં કહ્યાં છે.
શંકા-શિષ્ય ઉવાચ ઃ
ગાથા ૪૫ : નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. ભાવાર્થ : આંખે દેખાતો નથી, તેનો રંગ કાંઈ જણાતો નથી અને જીવનો બીજી ઇન્દ્રિયોથી અનુભવ પણ થતો નથી; માટે જીવ કોઈ વસ્તુ નથી એમ લાગે છે.
ગાથા ૪૬ : અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એધાણ. ભાવાર્થ : અથવા શરીર જ જીવ છે અથવા ઇન્દ્રિયો અને શ્વાસોશ્વાસ જીવ છે માટે જીવ જુદો માનવો તે ખોટું છે કારણ કે તેની જુદી નિશાની લાગતી નથી.
ગાથા ૪૭ : વળી જો આત્મા હોય તો જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ભાવાર્થ : વળી જો આત્મા હોય તો તે કેમ જણાતો નથી ? જો તે હોય તો ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો જણાય છે તેમ જણાવો જોઈએ.
ગાથા ૪૮ : માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ભાવાર્થ : માટે આત્મા નથી, તેથી મોક્ષનો ઉપાય ફોગટ છે એવી અંતરની શંકાનું સાચું સમાધાન આપ સમજાવો.