________________
૩૯૫ ગાથા ૩૪: આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ભાવાર્થ : જ્યાં આત્માનું સાચું ભાન હોય (અનુભવ હોય) ત્યાં જ સાચી મુનિદશા હોય અને તે જ સાચા ગુરુ હોઈ શકે. બીજા બાપ-દાદાના કુળમાં મનાતા ગુરુ કલ્પિત જ છે, તેવાને આત્માના ખપી જીવ સાચા ગુરુ માનતા નથી. ગાથા ૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ભાવાર્થ સાક્ષાત્ આત્મજ્ઞાની ગુરુ મળ્યાનો તે મોટામાં મોટો ઉપકાર માને છે, અને તે વિચાર, વાણી અને ચેષ્ટાના ભાવો તેમના તરફ જ વાળીને સદ્ગુરુએ આપેલા સાચા જ્ઞાનને આધારે વર્તે છે. ગાથા ૩૬ઃ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ભાવાર્થ ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં આત્માના સાચા જ્ઞાનનો (મુક્તિનો) માર્ગ એક જ હોય છે, તેવા આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય તે પુરુષાર્થરૂપ વ્યવહારને સારી પેઠે જાણી લેવો જોઈએ અર્થાત્ તે પુરુષાર્થને વ્યવહાર માનવો જોઈએ. ગાથા ૩૭ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુયોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ભાવાર્થ આ પ્રમાણે અંતરમાં વિચાર કરી સદ્ગુરુના મેળાપને શોધે અર્થાત્ ભાવના કરે અને એક આત્માની શુદ્ધતા મેળવવાનું કાર્ય તે કરે છે; મનમાં તેને બીજી કોઈ ઇચ્છા હોતી નથી. ગાથા ૩૮ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ભાવાર્થ જે જીવો મિથ્યાત્વ અને તેની સાથેના રાગ-દ્વેષને ઠારે છે અને જેને ફક્ત પવિત્રતાની રુચિ છે, જેમને ભવનો ખેદ હોય છે અર્થાત્ જેઓ ભવ ટાળવા મથે છે અને પોતાના તથા પર જીવ પ્રત્યે જેમને કરુણા હોય છે તેવા જીવોમાં આત્માના કલ્યાણનો વાસ હોય છે. ગાથા ૩૯ઃ દશાન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ્ય, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ભાવાર્થ જ્યાં સુધી આવી દશા આત્મા ન પામે અને પાત્રતા વડે પ્રગટ કરે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અર્થાત્ આત્માની પવિત્રતાનો માર્ગ પામતો નથી તેથી તેના આત્મામાંથી અજ્ઞાનરૂપ વિકાર મટતો નથી. ગાથા ૪૦ઃ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ભાવાર્થ: જ્યારે પાત્રતાની દશા જીવ પ્રગટ કરે છે ત્યારે આત્મજ્ઞાની ગુરુનો બોધ શોભા પામે છે અર્થાત્ પરિણમે છે અને તે બોધ દ્વારા જે સાચી વિચાર દશા પ્રગટે છે તે સુખ દેનારી છે. ગાથા ૪૧ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ભાવાર્થ : જ્યારે તે સાચી વિચાર દશા પ્રગટે છે ત્યારે પોતાનું જ્ઞાન (સમ્યક મતિ અને શ્રુતજ્ઞાન) પ્રગટ થાય