________________
૩૭૩ શરીર, મન, વાણી વગેરે પરરૂપે કે શુભાશુભ ભાવરૂપે થવાનું રહ્યું નહિ. પુણ્ય-પાપ બન્ને વિકાર હોવાથી તેનું ફળ બાહ્ય સંયોગમાં જાય છે અને સાચી શ્રદ્ધા-જ્ઞાન તે સ્વભાવ હોવાથી તેનું ફળ સ્વમાં આવે છે. ૨૨) “નિત્ય જ્ઞાન અને સુખરૂપે થનારો હું જ છું એવી જેને સ્વની શ્રદ્ધા છે, તે પોતાના સુખ માટે પર સામગ્રી ઇચ્છતો નથી. જે ધર્મી છે તેની સ્વાશ્રિત દષ્ટિ હોવાથી તેને કોઈ પરદ્રવ્યો પ્રત્યે અભિપ્રાયથી રાગ નથી, એટલે તે રાગ રહિત સ્વભાવપણે જ થનાર છે. અને અજ્ઞાનીની પરાશ્રિત દષ્ટિ હોવાથી તે અભિપ્રાયથી સર્વ પ્રત્યે રાગ-દ્વેષ કરે છે. ૨૩) રાગનો રાગ ધર્મીને નથી. જ્ઞાનીઓ અંશમાત્ર રાગ કોઈ પણ પ્રત્યેનો કરવા જેવો માનતા નથી. અસ્થિરતાની નબળાઈથી રાગ આવે પણ તે કરવા જેવો માનતા નથી. જ્ઞાની રાગથી લપાતો નથી. તેને રાગની ભાવના કે હોંશ થતી નથી. ૨૪) હું એકલો પૂર્ણ સુખ સ્વરૂપ છું. મારે કોઈની જરૂર નથી. હું જ મારાથી મહિમાવંત છું. ક્ષણિક વિકારથી મારો મહિમા નથી.”આ વાતને જીવે પ્રીતિથી ધારણ કરી, તેનું મનન કરી, અંતરમાં મહિમા લાવી નિઃસંદેહ નિર્ણય કરવો જોઈએ. આ જ ધર્મ કરવાનો સુખી થવાનો સાચો ઉપાય છે. ૨૫) દરેક પદાર્થ પોતાના સ્વરૂપે છે અને પરના સ્વરૂપે ત્રણ કાળમાં નથી - એ મૂળ સત્ય છે. દરેક આત્મા પરથી ત્રિકાળ જુદા છે. માટે પર વડે કોઈને કોઈ રીતે લાભ-નુકસાન થઈ શકે નહિ. બધા આત્મા પોતાના સ્વરૂપથી ભગવાન જ્ઞાનાનંદપૂર્ણ સામર્થ્યવાન છે. ક્ષણિક વિકાર પૂરતા નથી. વિકારરૂપે થનાર નથી. વર્તમાનમાં મોક્ષસ્વરૂપ છે. તે સ્વભાવનની શ્રદ્ધા-જ્ઞાન કરી અને તેના અરાગી સ્થિરતારૂપ થનાર હું સ્વયં છું એવી શ્રદ્ધા કરીને આત્મામાં પરમાનંદદશાની પ્રસિદ્ધિ કરવાનો ઢંઢેરો પીટાય છે.
એક તરફ પરિપૂર્ણ સ્વ” અને બીજી તરફ સર્વ “પર” એમ બે ભાગ પાડી વહેચણી કરીને ભેદજ્ઞાન કરવાનું છે.
રાગ-વિકારરહિત એકલું સ્વરૂપ, તેમાં સુખ છે. એવા નિર્ણય વગર સુખ પ્રગટે નહિ. આત્મામાં સુખ છે તે સુખ સ્વાધીન છે, પરના આધાર વગરનું છે, તે પ્રગટી શકે છે.
આ વાત બહુ સૂક્ષ્મ છે. આત્મસ્વરૂપની વાત અપૂર્વ છે, સમજવા જેવી છે. રુચિપૂર્વક શ્રવણ, મનન, ચિંતન કરી સત્ય વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી, સાચી સમજણ વડે પોતાના હિતઅહિતનો વિવેક કરે અને સત્યનું બહુમાન અને મહિમા લાવી વિચારે તેને તો અપૂર્વ કલ્યાણ સ્વરૂપ સમ્યગ્દર્શન-આત્મજ્ઞાન થાય અને નિર્જરારૂપ ધર્મ થાય.
બાકી ઊંધી દષ્ટિરૂપ મહા અજ્ઞાનમાં ચૈતન્ય સ્વરૂપની અનંતી હિંસા કરનાર મહાપાપ છે. અનંત સંસાર રખડાવનાર છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય અને ભેદજ્ઞાન એ બે જ મુખ્ય ચાવીઓ છે, સુખની સમજણ માટે અને સુખના અનુભવ માટે.