________________
૩૪૪
વચ્ચે ભવ છે તેથી કેવળજ્ઞાન થવામાં ભંગ પડશે. એ વાત જ અહીં ગૌણ કરી છે. અહીં તો સામાન્ય સ્વભાવના જોરે જે અંશ પ્રગટ્યો છે તે અંશ સાથે કેવળજ્ઞાન અભેદ જ છે, એમ કેવળજ્ઞાનની વાત કરેલ છે. તું પણ કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળો જ છો, તારા સ્વભાવના ભરોસે હા તો પાડ ! પોતાના સ્વભાવની પ્રતીતિ વગર પૂર્ણ પ્રત્યક્ષનો ભરોસો જાગે નહિ.
આત્માનો જ્ઞાનસ્વભાવ સ્વાધીન છે. કોઈ પણ સમયે વિશેષ વગરનું સામાન્ય જ્ઞાન ન હોય. જે સમયે વિશેષમાં થોડું જ્ઞાન હતું તે સમયે પણ પોતાથી હતું, અને જ્યારે વિશેષમાં પૂર્ણ થયું ત્યારે પણ પોતાથી જ થયું છે, તેમાં કોઈ પરનું કારણ નથી. આમ જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા જીવ જાણે તો તે પરમાં ન જોતાં પોતામાં જ લક્ષ કરીને પૂર્ણનો પુરુષાર્થ કરે.
સામાન્ય કોઈ પણ સમયે વિશેષ વગરનું હોય જ નહિ, દરેક સમયે સામાન્યનું વિશેષરૂપ કાર્ય તો હોય જ. ગમે તેટલું નાનું કાર્ય હોય તો પણ તે સામાન્યના પરિણમનથી થાય છે. નિગોદ દશાથી લઈને કેવળજ્ઞાન સુધીની આત્માની સર્વ પરિણતિ પોતાથી જ થાય છે, એમ સ્વતંત્રતાનો ખ્યાલ પોતાની પ્રતીતિમાં આવી ગયો ત્યાં પરાવલંબન ટળી ગયું. મારી પરિણતિ મારાથી કાર્ય કરી રહી છે એવી પ્રતીતિમાં વિકલ્પ અને નિમિત્તના અવલંબનના ભૂક્કા ઊડી ગયા.
આત્માના અનંત ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે. કર્તા, ભોક્તા, ગ્રાહકતા, સ્વામીત્વ એવા એવા અનંત ગુણોની વર્તમાન પરિણતિ નિમિત્ત અને વિકલ્પના આશ્રય વગર પોતાથી પ્રગટે છે. આમ જે માને છે તે જીવને સામાન્યના અવલંબને પ્રગટેલો અંશ પૂર્ણતાને પ્રત્યક્ષ કરતો હોવાથી અર્થાત્ અંશ સાથે અભેદ કરતો હોવાથી, અંશ અને પૂર્ણતા વચ્ચેનો ભેદ કાઢી નાખતો હોવાથી યથાર્થ અને અપ્રતિહત છે.
આ વાતની ના પાડનાર કોણ છે ? જે ના પાડે છે તે તેની પોતાની ના પાડે છે. આ વાતની ના પાડનાર કોઈ છે જ નહિ. નિર્ગંથ સંત-મુનિઓ એવા અપ્રતિહત ભાવે ઊપડ્યા છે કે જેથી જ્ઞાનની ધારામાં ભંગ પડ્યા વગર અતૂટપણે કેવળજ્ઞાનરૂપ થઈ જવાના જ.
મારા મતિ-શ્રુતજ્ઞાનના અંશો સ્વતંત્ર થાય છે. તેને કોઈ પરનું અવલંબન નથી. આમ પ્રતીતિ થતાં કોઈ નિમિત્તનું કે પરનું લક્ષ ન રહ્યું. સામાન્ય સ્વભાવ તરફ જ લક્ષ રહ્યું. હવે એ સામાન્ય સ્વભાવના જોરે જીવે પૂર્ણતાનો પુરુષાર્થ કરવાનો રહ્યો. પહેલાં પરને કારણે જ્ઞાન થાય છે એમ માન્યું હતું ત્યારે તે જ્ઞાન પરલક્ષમાં અટકી જતું હતું, પણ હવે સ્વાધીન સ્વભાવથી જ જ્ઞાન થાય છે એમ પ્રતીત થતાં જ્ઞાનને ક્યાંય અટકવાપણું ન રહ્યું.
મારા જ્ઞાનને પરનું કે નિમિત્તનું અવલંબન છે જ નહિ, એટલે કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જ છે - એમ સામાન્ય સ્વભાવના આશ્રયે જે જ્ઞાન પરિણમે છે તે જ્ઞાનધારાને તોડનાર કોઈ છે જ નહિ, એટલે કે સ્વાશ્રયે જે જ્ઞાન પ્રગટે છે તે કેવળજ્ઞાનનો પોકાર લેતું જ પ્રગટે છે, અલ્પ કાળમાં તે જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું જ છે. જ્ઞાનના અવલંબને જ્ઞાન કાર્ય કરે છે - આવી પ્રતીતિમાં આખું કેવળજ્ઞાન સમાય છે.