SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ આત્માનો પુરુષાર્થ જો નિમિત્તના અવલંબને કાર્ય કરતો હોય તો અંતરના સામાન્ય પુરુષાર્થ સ્વભાવે તે વખતે શું કર્યું ? શું સામાન્ય સ્વભાવ વિશેષ વગરનો રહ્યો ? વિશેષ વગરનું સામાન્ય હોય એમ તો બને નહિ. દરેક ગુણનું વર્તમાન (વિશેષ અવસ્થારૂપ કાર્ય) સામાન્ય સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. કર્મ પુરુષાર્થ રોકે છે એ વાત જ ખોટી હોવાથી ઊડી ગઈ. કોઈ પણ ગુણનું કાર્ય જો નિમિત્તના કે રાગના અવલંબને થતું હોય તો સામાન્ય સ્વભાવનું તે વખતે વિશેષરૂપ કાર્ય રહે નહિ. અને જો વિશેષરૂપ કાર્ય ન રહે તો ગુણરૂપ સામાન્ય જ સાબિત થતો નથી. બધા ગુણો કાયમ છે. તેનું કાર્ય કોઈ નિમિત્ત કે રાગના અવલંબને થતું નથી, પણ પોતાથી જ સામાન્યના અવલંબને જ થાય છે. આ સ્વાધીન સ્વરૂપ જેને બેઠું તેને પૂર્ણની પ્રતીતિ લેતો ગુણનો જ અંશ પ્રગટે જ છે અને જેને પૂર્ણની પ્રતીતિ લેતું જ્ઞાન ઊગ્યું તેની અલ્પકાળમાં મુક્તિ હોય જ. જે સામાન્યના જોરે એક અંશ પ્રગટે છે તે જ સામાન્યના જોરે પૂર્ણ દશા પ્રગટે છે. વિકલ્પના કારણે સામાન્યની વિશેષરૂપ અવસ્થા ન થાય. જો વિકલ્પના કારણે વિશેષ થતું હોય તો વિકલ્પનો અભાવ થતાં વિશેષનો પણ અભાવ થઈ જાય. વર્તમાન વિશેષ સામાન્યથી જ પ્રગટે છે, વિકલ્પથી પ્રગટતું નથી. આ સમજવું તે જ ધર્મ છે. દરેક દ્રવ્યની સ્વાધીનતાની આ ચોખ્ખી વાત છે. ‘બે ને બે ચાર’ જેવી સીધા સરળ વાત છે. આ સમજે નહિ અને તેને બદલે નિમિત્તથી થાય અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી દે એમ પરાશ્રયપણું માને તો તેનું બધું જ ખોટું છે, તેની મૂળમાં ભૂલ છે. પહેલાં જ ‘બે ને બે ત્રણ’ એમ ભૂલ થઈ ગઈ હોય તો ત્યાર પછી બધી ભૂલ જ આવે, તેમ મૂળ વસ્તુ સ્વભાવની માન્યતામાં જેની ભૂલ છે તેનું બધું જ ખોટું છે. ૭. સ્વાધીનપણે પ્રગટેલો અંશ પૂર્ણને પ્રત્યક્ષ કરે છે પરદ્રવ્યો જગતમાં ભલે હો, પરિનમિત્ત ભલે હો, જગતમાં સર્વ વસ્તુઓનું અસ્તિત્ત્વ છે, પણ તે કોઈ વસ્તુ મારી વિશેષ અવસ્થા કરવા સમર્થ નથી. મારા આત્માના સામાન્ય સ્વભાવને અવલંબીને મારી વિશેષ દશા થાય છે. તે સ્વાધીન છે અને એ સ્વાધીનપણે પ્રગટતું વિશેષ જ પૂર્ણ વિશેષરૂપ કેવળજ્ઞાનનું કારણ છે. જે વિશેષ પ્રગટે છે તે પૂર્ણને પ્રત્યક્ષ કરતું પ્રગટે છે. ૮. સ્વાધીનતાની પ્રતીતિમાં કેવળજ્ઞાન : આચાર્ય ભગવાન આત્માનો સ્વાધીન પૂર્ણ સ્વભાવ બતાવે છે. તું આત્મા છો, તારો જ્ઞાનસ્વભાવ છે. તે જ્ઞાનસ્વભાવની વિશેષરૂપ અવસ્થા તારા પોતાના સામાન્ય સ્વભાવના અવલંબને થાય છે. સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષરૂપ મતિજ્ઞાન જે પ્રગટ્યું તે પૂર્ણ કેવળજ્ઞાન સાથે અભેદ સ્વભાવવાળું છે. નિમિત્તના અને રાગના અવલંબન વગરનું તથા સામાન્યના અવલંબનવાળું જ્ઞાન સ્વાધીન સ્વભાવવાળું છે. તે જ્ઞાન મતિજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને ગણતું નથી. જેને આ વાત બેસી તેને કેવળજ્ઞાન પામવામાં વચ્ચે વિઘ્ન હોય જ નહિ. આ તીર્થંકર કેવળજ્ઞાનીની વાણી કેવળજ્ઞાનના ભણકારા લેતી આવી છે. આચાર્યદેવોને કેવળજ્ઞાનના જ ભણકારા થઈ રહ્યા છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy