________________
૩૩૨
એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહાર નયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે.
વ્યવહાર નયને કથંચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વથા અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે.
વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદષ્ટિ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે શુભ ભાવો કરવાથી આત્મા શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતાં નથી. પોતપોતાના સમયમાં બન્ને કાર્યકારી છે. જેનાથી તરાય તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે. પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે. ' હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો નિશ્ચય અને વ્યવહાર - એ બન્ને નયોને છોડો, કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ - વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય નય વિના તત્ત્વ (વસ્તુ)નો નાશ થઈ જશે.
“વ્યવહાર નય પણ પ્રયોજનવાન છે” તેની વ્યાખ્યા આ એક જ છે કે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. કથનશૈલી ગમે તે આવે પણ અર્થ તો આ જ છે કે ત્રિકાળી નિશ્ચય આદરેલો
પ્રયોજન વાન છે અને આ રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. ૧૭. નિશ્ચય અને વ્યવહાર : ૧) નિશ્ચય અને વ્યવહાર ક્યાંય બહારમાં, જડની ક્રિયામાં કે રાગમાં નથી
પરંતુ સાચા જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને સમાય છે. ૨) પોતાના શુદ્ધાત્માને જાણીને સ્વ તરફ ઢળતું જ્ઞાન તે નિશ્ચય છે અને રાગ-વિકાર વગેરેને બંધ ભાવ તરીકે જાણનારું તેમજ પરવસ્તુને જુદાપણે જાણનારું જ્ઞાન તે વ્યવહાર છે. ૩) જ્યાં સ્વભાવના જ્ઞાનરૂપ નિશ્ચય હોય ત્યાં પરના જ્ઞાનરૂપ વ્યવહાર હોય જ છે. નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે જ હોય છે. ૪) સ્વભાવને જાણનારા જ્ઞાન સાથે વિકલ્પ નથી માટે તે જ્ઞાનને નિશ્ચય સાધન કહેવાય છે. અને પરને તેમ જ પુણ્ય-પાપને જાણનારા જ્ઞાન સાથે વિકલ્પ છે તેથી તે જ્ઞાનને વ્યવહાર સાધન કહેવાય છે, પરંતુ જ્ઞાન તો બન્નેમાં સાચું જ છે. ૫) જ્યાં રાગ-વિકલ્પને વ્યવહાર સાધન કહ્યું હોય ત્યાં એવો આશય સમજવો કે તે રાગ-વિકલ્પનું જ્ઞાન કરવું તે વ્યવહાર સાધન છે અને રાગ-વિકલ્પ પોતે તો બંધ સમાન છે.