________________
૩૨૮
૧૦. વ્યવહાર નયના કથનનું પ્રયોજન શું છે ? : મોક્ષમાર્ગ બે નથી એટલે કે નિશ્ચયરૂપ અને વ્યવહારરૂપ એમ બે પ્રકારનો નથી, છતાં બે પ્રકારે માનવો તે ભૂલ છે. મોક્ષમાર્ગ બે નથી પરંતુ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ઘણાંય વ્યવહાર નયના કથન આવશે કેમ કે તેમાં જિજ્ઞાસુઓને સમજાવવા માટે ભેદો અને નિમિત્તોના વર્ણન દ્વારા કથન કરવામાં આવે છે એ લક્ષમાં રાખવું. વ્યવહાર નયના કથનો ભેદમાં રોકવા માટે નથી પણ ભેદ દ્વારા અભેદ આત્માને સમજાવે છે. જો આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદને જ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ; માટે આત્માનું અભેદપણું જાણવાની જરૂર છે. જો ભેદ પાડીને કહેવામાં ન આવે તો જીવો વસ્તુસ્વરૂપ સમજી શકે નહિ. માટે ભેદો દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવે છે અને અભેદનું લક્ષ ન કરે તો અનુભવ થાય નહિ. આ રીતે વ્યવહાર નયના કથનનું પ્રયોજન સમજવું
૧૧. વીતરાગી વિજ્ઞાનનું પ્રતિપાદન ઃ જૈન શાસ્ત્રોમાં અનેકાન્તથી સાચા જીવાદિ તત્ત્વોનું નિરુપણ છે તથા સાચા રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે; માટે જો જીવ તેની ઓળખાણ કરે તો મિથ્યાદષ્ટિ રહે નહિ. તેમાં વીતરાગ ભાવ પોષવાનું જ પ્રયોજન છે પણ રાગ ભાવ (પુણ્ય-પાપ ભાવ) પોષવાનું પ્રયોજન નથી. માટે જેઓ રાગથી-પુણ્યથી (શુભ ભાવથી) ધર્મ થાય એમ માને છે તેઓ જૈન શાસ્ત્રોના મર્મને જાણતા નથી.
૧૨. સમ્યગ્દર્શન તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યજ્ઞાન તે જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્ય ભાવ તથા વર્તમાન પર્યાય બન્ને છે. સમ્યક્ ચારિત્ર તે ચારિત્ર ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધ દશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ છે.
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પરવસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે તે વસ્તુ નથી. તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે એ જાણવું એમ ખરી નીતિ છે.
જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્ત સ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય-વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે સત્પુરુષો અનેકાન્ત સાથે સુસંગત દષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને એટલે કે જિનેશ્વરના માર્ગને-ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે.
સાર ઃ જેઓ વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલ વ્યવહારને માનતા નથી તે નિશ્ચયાભાસી છે અને આ વ્યવહારને ધર્મ માને તેઓ વ્યવહારાભાસી છે. માટે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું.