________________
૩૨૨
ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે એ તો ત્રિકાળ ધ્રુવ...ધ્રુવ....ધ્રુવ અસ્ખલિત જેમાં વધઘટ નથી, ઓછું અધિક નથી એવો એકરૂપ છે.
નવ તત્ત્વોમાં સદૃષ્ટિથી - દ્રવ્યદૃષ્ટિથી જોતાં જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. તે એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ‘શુદ્ધ’ આવો છે એમ આત્મપ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને તે સમ્યગ્દર્શન જ છે.
૧૭૬ નવને જોનારી ભેદષ્ટિ એ તો અનાદિની મિથ્યાદષ્ટિ છે. પર્યાયની ભેદની રુચિમાં તો આખું દ્રવ્ય ઢંકાઈ ગયું છે. હવે ભેદ પરથી નજર હટાવી, એક ત્રિકાળી જ્ઞાયકભાવને જોતાં જીવ-પુદ્ગલના સંબંધે જે ભેદવાળી પર્યાય હતી એ રહેતી નથી, કેમ કે જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય પ્રકાશની દષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવનો અભાવ થઈ જાય છે. એકલાં શાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જે રાગની રુચિમ ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવમાંથી એકલો જાણક, જાણક, જાણક એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તારવી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સમ્યક્ એકાંત છે. સમ્યક્ એકાંત અંતરમાં ઢળે છે ત્યારે એને અનેકાન્તનું સાચું જ્ઞાન થાય છે. ‘અનેકાન્ત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’
૧૭૭ ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ, આદિ-અંત વિનાની પરમ પારિણામિકભાવરૂપ, અખંડ અભેદ વસ્તુ
છે, ત્રિકાળ શુદ્ધ છે. એને વર્તમાન હાલતથી જોવામાં આવે તો પર્યાય છે. પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો બધું એકાર્થ છે. પરંતુ શુદ્ધ ચૈતન્યઘન શાશ્વત એક જ્ઞાયકભાવની દૃષ્ટિ થતાં પર્યાયનો ભેદ ગૌણ થઈ જાય છે. દ્રવ્યને વિષય તો પર્યાય કરે છે પણ તેમાં પર્યાયભેદ ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય ત્રિકાળીમાં દૃષ્ટિ કરી કે ત્યાં અભેદ એકરૂપ આત્માનો અનુભવ થાય છે. એ સમ્યગ્દર્શન છે.
૧૭૮ જ્ઞાનમાં પ્રથમ એવો નિર્ણય કરે કે હું તો અનંત ગુણનો પિંડ ચૈતન્યમાત્ર વસ્તુ છું. આ નિર્ણય કરનારી તો પર્યાય છે પણ એ પર્યાય એમ જાણે છે હું તો ત્રિકાળી ધ્રુવ છું. પર્યાય એમ જાણે કે હું આ છું. ભગવાન આત્માની દષ્ટિ કરી સિદ્ધપદની સાધના પ્રગટ કરવી જોઈએ.
૧૭૯ પરદ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ પરદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ તથા પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિભાવ ભાવો, જે વિકારાદિ - તે સર્વ પરભાવોથી ભિન્ન આત્માને શુદ્ધ નય પ્રગટ કરે છે.
૧૮૦ જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે, શુદ્ધ નય એવા આત્માને પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ-જડ, ભાવકર્મ-વિકાર, નોકર્મ-શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી તે સંકલ્પ છે. એ મિથ્યાત્વ છે. અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો તેને વિકલ્પ કહે છે. અનેકને જાણવારૂપ પર્યાય તો થઈ છે પોતાથી અને ખરેખર જ્ઞાન એકરૂપ રહીને પોતાને જાણે છે.