________________
૩૦૩
શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે. ૪૬. શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે – તેને સાધન કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે.
શુદ્ધનું આલંબન, શુદ્ધનું ધ્યેય અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે - અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને
એ જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈન ધર્મ છે. ૪૭. “શુદ્ધ ચૈતન્યઘન આત્માને દષ્ટિમાં લઈ તેને ધ્યેય અને સાધન બનાવતાં શુદ્ધોપયોગરૂપ ધર્મ થાય છે.
પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદ જે પ્રગટે છે તે આત્માનો વૈભવ છે. ૪૮. અહા! આત્મા અનાકુળ આનંદ રસથી ભરેલો છે. તેમાં એકાગ્ર થતાં સુંદર આનંદનો સ્વાદ આવે છે.
જેમ ડુંગરમાંથી પાણી ઝરે તેમ આત્મામાં એકાગ્ર થતાં અતીન્દ્રિય આનંદ ઝરે છે. આબાળ-ગોપાળ સર્વમાં અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા બીરાજે છે. તેની દષ્ટિ કરતાં પર્યાયમાં આનંદ ઝરે
છે. તેનું નામ ધર્મ છે. ૪૯. ધર્મ એ તો આત્મઅનુભવની ચીજ છે, ભાઈ! કોઈ જીવ પ્રભાવનામાં કરોડો રૂપિયા ખર્ચે, લાખોના
મંદિર બંધાવે માટે તેને ધર્મ થઈ જાય એમ નથી. તે કાળે રાગ મંદ કરે તો શુભભાવ થતાં પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. મંદિર બનાવવાની ક્રિયા તો પરમાણુથી બને છે, તે આત્મા કદી કરી શકતો નથી. હા, આત્મા આ કરી શકે કે પુણ્ય-પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે અને એ જ નિશ્ચય ધર્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પણ
જુઠી છે. રાગથી ભિન્ન પડી ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપમાં આરૂઢ થવું મહા દુર્લભ છે. ૫૦. અહા!વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના
કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ-અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની
પ્રધાનતા છે. ધર્મનો પંથ - અનુભવનો પંથ જગતથી કાંઈક જુદો છે. ૫૧. ભગવાન આત્મા સઘળી અપ્રમત્ત અને પ્રમત્ત એવી પર્યાયોના ભેદથી રહિત શુદ્ધ નય સ્વરૂપ એક
જ્ઞાયકભાવ છે. અહો ! જે દષ્ટિનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ
અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે. પર. અહાહા...! ભગવાન, તું અનાદિ અનંત નિત્યાનંદ સ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છે. જેમાં પર્યાયનો
- ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છો એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે.