________________
૨૬૦ વિશેષાર્થ : ૧) સમ્યગ્દર્શન કરવા માટે પ્રથમ 'હું જ્ઞાનસ્વભાવ છું' એવો નિર્ણય શ્રુતજ્ઞાનના અવલંબનથી કરવો. આ નિર્ણય કરનાર જો કે હજી સવિકલ્પ દશામાં છે, પરંતુ તેનું વિકલ્પ પર જોર નથી, જ્ઞાનસ્વભાવ ઉપર જોર છે. આત્માના નિશ્ચયના બળે નિર્વિકલ્પ થઈને સાક્ષાત્ અનુભવ કરે ત્યારે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થાય. ૨) આવા સમયે મતિજ્ઞાન પરથી પાછું વળીને આત્મસન્મુખ થયું. શ્રુતજ્ઞાન -પહેલાં જે નયપક્ષોના વિકલ્પોથી આકુળતા થતી તેનાથી જુદું પડીને તે શ્રુતજ્ઞાન પણ આત્મસન્મુખ થયું, એમ કરવાથી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ. પરમ આનંદ સહિત સમ્યગ્દર્શન થયું, ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો; તેને ધર્મ થયો અને તે જ મોક્ષના પંથે ચાલ્યો. ૩) આત્મા કેવો છે ? આત્મા જ્ઞાનસ્વભાવ જ છે. “જ્ઞાનસ્વભાવ'માં રાગાદિ ન આવે, ‘જ્ઞાનસ્વભાવ’માં ઇન્દ્રિય કે મનનું અવલંબનન આવે, એટલે જ્યાં હું જ્ઞાનસ્વભાવ” એમ આત્માનો નિર્ણય કર્યો ત્યાં શ્રુતનું વલણ ઇન્દ્રિયો તથા રાગથી પાછું વળીને જ્ઞાનસ્વભાવ તરફ ઝૂક્યું, આ રીતે જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકતા જે પ્રત્યક્ષ સાક્ષાત નિર્વિકલ્પ અનુભવ થયો તે જ સમ્યગ્દર્શન છે, તે જ ભગવાન આત્માની પ્રસિદ્ધિ છે. જ્ઞાનનું જ્ઞાનરૂપે પરિણમન થાય છે. તે જ સમયનો સાર' છે. ૪) જ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞ સ્વભાવી આત્મામાંથી જ થાય છે. જ્ઞાનની પ્રાતિ વિકલ્પમાંથી થતી નથી. અંદર શક્તિમાં જે પડ્યું છે તે જ બહાર આવે છે. બહારથી નથી આવતું. અંદરની નિર્મળ જ્ઞાનશક્તિમાં અભેદ થતાં પર્યાય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે પરિણમી જાય છે. ૫) જેવો સ્વભાવનો નિર્ણય કર્યો તે સ્વભાવ તરફ તેનું જ્ઞાન વળે છે. નિર્ણય સાથે જે વિકલ્પ છે તે વિકલ્પમાં ન અટકતાં, વિકલ્પથી ભિન્ન જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મસન્મુખ કરવું. તે જ અનુભવનો ઉપાય છે. તે જ આત્માની પ્રસિદ્ધિની રીત છે. તે જ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની રીત છે - ઉપાય છે. ૬) સમ્યકત્વના પ્રયત્નની શરૂઆત અપૂર્વ છે. પૂર્ણતાને લક્ષે તે શરૂઆત છે. “જ્ઞાન-આનંદસ્વભાવી ભગવાન આત્મા’ તેનો નિર્ણય એટલે પૂર્ણતાનું લક્ષ; આ પૂર્ણતાની લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ૭) સ્વભાવના નિર્ણય વખતે જ્ઞાનનું અવલંબન છે. જ્ઞાન પોતે જ્ઞાનરૂપ થાય, જ્ઞાન જ્ઞાનને વેદ એટલે કે આત્મસન્મુખ થાય. જ્ઞાન પોતે જ્ઞાનરૂપ થઈને આત્માનો અનુભવ કરે. આ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ કરવાની રીત છે. ૮) હે જીવ! પ્રજ્ઞા વડે મોક્ષપંથે આવ ! પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મા સન્મુખ મૂકેલી ભગવતી ચેતના. ભગવતી પ્રજ્ઞા દ્વારા ભેદજ્ઞાન કરવાનું છે. રાગાદિ ભાવોને આત્માથી ભિન્ન જાણવા છે. રાગથી ભિન્ન જે ચેતના (જે આત્માનું સ્વલક્ષણ છે) તેના વડે જ બંધનથી ભિન્ન આત્મા અનુભવમાં આવે છે. આ રીતે ચેતનારૂપ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું કારણ છે.