________________
૨૬૧
(૯) જીવનું પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમવું, ને એવું પરિણમન થતાં કર્મનો અને રાગનો સંબંધ છૂટી જાય તેનું નામ મોક્ષ છે. શુદ્ધ પરિણમન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ. જે જ્ઞાન વડે આવો અનુભવ થાય તે જ્ઞાન મોક્ષનું સાધન છે. શુદ્ધ જીવ પોતાના સ્વરૂપમાં રહ્યો તે દશાનું નામ મોક્ષ છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા”મોક્ષ તે પૂર્ણ શુદ્ધ પરિણમન છે. (૧૦) તીણ પ્રજ્ઞાછીણી એટલે તીખી જ્ઞાનચેતના, ઉગ્ર જ્ઞાનચેતના. તેને નિપુણ જીવો એટલે ભેદજ્ઞાનમાં અત્યંત પ્રવીણ જીવો, સાવધાન થઈને આત્મા (જ્ઞાન) અને રાગ (બંધની) વચ્ચેના સૂક્ષ્મ ભેદમાં એવી રીતે પટકાવે છે કે શીધ્રપણે બન્ને અત્યંત જુદા અનુભવમાં આવે છે. જ્ઞાનચેતના અંતર્મુખ થઈને પોતાના આત્માને રાગ રહિત શુદ્ધ અનુભવે છે. અંતર્મુખ થયેલું સ્વસંવેદન જ્ઞાન આત્માને શુદ્ધતારૂપ પરિણમાવે છે. વીતરાગ પરિણતિરૂપે પરિણમેલું સ્વસંવેદન જ્ઞાન તે મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણમન તે મોક્ષ છે. (૧૧) 'હું તો એક શુદ્ધ ચિન્માત્રભાવ જ છું, અન્ય કોઈ ભાવો મારા નથી' એવું શુદ્ધાત્માનું સેવન એટલે કે અનુભવ તે જ સિદ્ધાંતનું સેવન છે. સિદ્ધાંતે આત્માનો પરમાર્થ સ્વભાવ દેખાડ્યો છે, તે સ્વભાવનું સેવન તે સ્વસમ્મુખ પર્યાય છે, એ જ ધર્માત્માનું આચરણ છે, એમાં જ પરમ અતીન્દ્રિય સુખનું વદન છે. (૧૨) ભગવતી ચેતના કહો કે પ્રજ્ઞાછીણી કહો, તેના વડે બંધનથી જુદો શુદ્ધાત્મા અનુભવાય છે. શુદ્ધાત્મા ચૈતન્યમાત્ર વસ્તુ છે. તેમાં રાગ-દ્વેષ-મોહાદિઅશુદ્ધ ભાવો એકમેક નથી, પણ બન્ને વચ્ચે સાંધો છે, લક્ષણભેદ છે. એક ક્ષેત્રે હોવા છતાં બન્ને એક સ્વભાવે નથી. બન્નેના સ્વભાવ વચ્ચે મોટો આંતરો છે. તે આંતરો લક્ષમાં લઈને પ્રજ્ઞાછીણી એવી પડે કે અશુદ્ધતાને એકબાજુ કરીને, શુદ્ધ ચેતના વસ્તુમાં પોતે એકાગ્ર થાય છે. આનું નામ ભેદજ્ઞાન. આ ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રગટે છે. (૧૩) જેટલા ક્ષેત્રમાં ચેતનવસ્તુ છે, તેટલા જ ક્ષેત્રમાં રાગાદિ બંધ ભાવો છે, છતાં બન્ને વચ્ચે ભાવભેદરૂપી મોટી તિરાડ છે. આ રાગનો સ્વાદ આકુળતારૂપ-દુઃખરૂપ છે, ને જ્ઞાનનો સ્વાદ તો શાંત-સુખરૂપ છે. એમ વિવેક દ્વારા બન્નેના સ્વાદની ભિન્નતા જણાય છે. તીખી પ્રજ્ઞા દ્વારા તે બન્નેને ભિન્ન જાણીને તે પ્રજ્ઞા શુદ્ધ સ્વરૂપમાં પેસીને તેને અનુભવમાં ભે છે, ને રાગાદિને જુદા કરી નાખે છે. (૧૪) પ્રજ્ઞા અંતરના ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશી જાય છે; અત્યંત સાવધાની વડે-ઉપયોગની જાગૃતિ વડે અંદરની સૂક્ષ્મ સાંધને ભેદીને એક બાજુ જ્ઞાનસ્વરૂપ આત્મા અને બીજી બાજુ અજ્ઞાનરૂપ એવા બંધ ભાવો તેમને સર્વથા જુદા કરી નાંખે છે. બંધ ભાવના કોઈ અંશને જ્ઞાનમાં રહેવા દેતી નથી, ને જ્ઞાનના કોઈ અંશને બંધ ભાવમાં ભેળવતી નથી. આવી ભગવતી જ્ઞાનચેતના તે સમ્યગ્દર્શનનું અને પરંપરાએ મોક્ષનું સાધન છે. (૧૫) સામાન્ય જીવોને આ અનુભવ કઠણ છે, ઘણો સૂક્ષ્મ છે એવું ભાસે છે. તો પણ નિપુણ જીવો અંતરની સૂક્ષ્મ જ્ઞાનચેતના વડે સ્વભાવ અને વિભાવ વચ્ચેનો ભેદ જાણીને તેની ભિન્નતાનો અનુભવ કરે છે. જ્યારે જ્ઞાન તેના સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે બન્ને સ્પષ્ટ ભિન્ન જુદા અનુભવમાં આવે છે.