________________
૨૪૬
સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માના વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શરૂપે લખ્યા છે.....
‘‘સમયમાત્રના અનાવકાશપણે, આખો લોક આત્મઅવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો, જે જ્ઞાનથી સ્વ આત્મસ્થ પરિણામ હોય તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હોય, એવો જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાન સનાતન સત્પુરુષનો છે.
-શ્રીમદ્ાજચંદ્ર.
૫. સમકિત કેમ થાય ? (ઉપાયની સરળ રીત)
:
૧. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવાં; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તો સમકિત થાય.
૨. સત્પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું.
૩. જીવના પરિભ્રમણનું કારણ શું છે ? જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી પામ્યો છે તે જીવને સમ્યગ્દર્શન થાય છે.
૪. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
૫. સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ; અને અસત્સંગ તથા અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી; એમાં કિંચિત માત્ર સંશય નથી.
૬. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગ પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવરૂપ સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.
૭. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ ત્રણ - એમ સાત પ્રકૃત્તિ જ્યાં સુધી ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃત્તિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃત્તિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મતત્ત્વને પામશે એ નિઃસંદેહ છે. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહિ.