________________
૧૯૧
જીવ-અજીવ તત્ત્વો જ્ઞેય છે. આ તો થઈ વ્યવહારની વાત. નવ તત્ત્વોમાં હેય, શેય, ઉપાદેય તત્ત્વો નક્કી કરવા જોઈએ. હવે નિશ્ચયથી તો એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે, તે જ જ્ઞાતા છે અને તે જ શેય છે. તે જ ધ્યાતા છે અને તે જ ધ્યાનનું ધ્યેય છે. આવું સમ્યક્ સન્મુખ જીવને શ્રદ્ધાન હોય છે. ૧૬. પ્રયોજનભૂત હેય-શેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરી બરાબર નિશ્ચયથી નિર્ણય કરવો. નિશ્ચય વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવે છે. પ્રયોજનભૂત તત્ત્વનું જેવું સ્વરૂપ છે તેવું ઓળખ્યા વગર યથાર્થ શ્રદ્ધાન છે થાય નહિ. ‘જિનેન્દ્રદેવે જે સૂક્ષ્મ તત્ત્વ કહ્યું છે તે બધું ય ભલા પ્રકારથી હું ઇષ્ટ કરું છું’ એ પ્રમાણે એ સમ્યક્ સન્મુખ જીવ શ્રદ્ધાવાન થાય છે. જિનવર અને પોતાની પરીક્ષા એ બન્નેની સમાનતા થાય ત્યારે જાણવું કે સત્ય પરીક્ષા થઈ છે. જેવો વીતરાગભાવ દ્રવ્યસ્વભાવમાં છે તેવો જ ભાવ પર્યાયમાં પ્રગટ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે.
૧૭. અવશ્ય જાણવા યોગ્ય તત્ત્વો : જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને બરાબર જાણવાં. મિથ્યાત્વ અને સમ્યગ્દર્શનાદિનું યથાર્થ સ્વરૂપ જાણવું. ઉપાદાન-નિમિત્ત, નિમિત્ત-નૈમિત્તિક, સામાન્ય-વિશેષ, નિશ્ચય-વ્યવહાર બધાં જ પડખાંથી જેમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે તેમ જાણવું જોઈએ. અને જ્યાં સુધી તત્ત્વાર્થ શ્રદ્ધાન અંતરંગ પ્રતીતિ ન થાય ત્યાં સુધી એ સમ્યક્ સન્મુખ જીવ અભ્યાસમાં સતત પ્રવૃત્ત જ રહે છે. અંતરંગ પ્રીતિથી ઉલ્લાસપૂર્વક આ કાર્ય કરતાં કરતાં સહજ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
C
૧૮. અહં બુદ્ધિની સ્થાપના ઃ ઉત્સાહપૂર્વક ઉદ્યમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિશે જ ‘આ હું છું - આ જાણનાર જે જણાય છે તે હું જ છું’ એવી અહંબુદ્ધિ થાય ત્યારે સમ્યગ્દષ્ટિ થાય છે. ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અહંબુદ્ધિ અનુભવપૂર્વક થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. અંતરમાં અનુભૂતિપૂર્વક વેદન થઈ ગયું છે કે ‘હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ છું અને સર્વથા સર્વથી ભિન્ન છું’ આનું નામ સમ્યગ્દર્શન છે.
૧૯. સમ્યક્ત્વનો અધિકારી : તત્ત્વ વિચાર થતાં એવો સમ્યક્ સન્મુખ જીવ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શનમાં તત્ત્વ વિચારની જ મુખ્યતા છે. ‘“જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ઉત્તમ જહાં વિચાર, તે ઉતરે ભવપાર’’. સુવિચારણા - તેનાથી નિજ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન એટલે જાણવું - ‘હું આ જ છું’ સતત જાણતાં જ રહેવું તે ધ્યાન... ‘હું સર્વથા સર્વથી ભિન્ન છું’ એ વૈરાગ્ય... આવી પ્રક્રિયા જ્યાં શરૂ થાય એ સમ્યક્ સન્મુખ જીવ વિકલ્પમાંથી નિર્વિકલ્પ અનુભવમાં સરી જાય છે.
૨૦. ચૈતન્યની નિર્વિકલ્પ અનુભૂતિ તે જ સમ્યગ્દર્શન છે ઃ સ્વરૂપ સન્મુખ થઈને - સ્વ સ્વરૂપમાં એક સમય માટે એકાગ્ર થતાં નિર્વિકલ્પ અનુભૂતિ થાય - આનંદનું વેદન થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય.
આ રીતે સમ્યક્ સન્મુખ જીવની પાત્રતાનું ક્રમબદ્ધ નિરૂપણ અભ્યાસ અર્થે કરવામાં આવેલ છે. દરેક આત્માર્થી જીવે પોતાના પરિણામોની આ ક્રમ સાથે તુલના કરવાથી વિશેષ ઉપયોગી થશે.