________________
૧૬૮
૩. સત્પુરુષના ચરણ-શરણ હેતુ શોધકવૃત્તિ રહે છે કે નહિ ? અને તેની તીવ્રતા કેટલી ?
૪. માર્ગની અપ્રાપ્તિના કારણે બેચેની રહે છે કે નહિ ?
૫. સંસારને કઈ રીતે જુઠ્ઠો(બુરો) માન્યો છે ? સંસાર પ્રસંગોમાં સારભૂતપણું કેટલું લાગે છે ?
૬. પોતાના દોષ બતાવવાવાળા પ્રત્યે નાપસંદગીનો ભાવ આવી જાય છે કે એ હિતબુદ્ધિપૂર્વક ઉપકારી
લાગે છે ?
૭. બોધ શ્રવણ પછી કેટલો ગુણ(લાભ) થયો ? આત્મજાગૃતિ કેટલી પ્રવર્તી રહી છે ?
૮. જે પદાર્થો સાથે ‘પોતાપણું’(એકત્વ બુદ્ધિ) થાય છે ત્યાં ‘મૂઢતા થઈ છે’ એવું લાગે છે ?
આવી રીતે અનેક પ્રકારે સતત પોતાના વર્તતા પરિણામ સાક્ષીભાવે જોવાનું અવલોકન કરવાથી બોધ પરિણમી રહ્યો છે એમ લાગશે. ક્ષણે ક્ષણે સ્વજાગૃતિપૂર્વક પોતાના પરિણામ તપાસ્યા વગર એ બદલાવી શકાય નહિ.
૭. પાત્રતા - વિશેષ વાત :
વિશાળબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે કમુક્ત થવાના જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાય છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમકુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
સત્પુરુષના ચરણનો ઇચ્છુક, સદૈવ સુક્ષ્મબોધનો અભિલાષી, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ઉપયોગથી એક પળ પણ ભરનાર, એકાંતવાસને વખાણનાર, તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, આહારવિહાર-નિહારનો નિયમી, પોતાની ગુરુતાને દબાવનાર એવો કોઈ પણ પુરુષ મહાવીરના બોધને પાત્ર છે. સમ્યક્દશાને પાત્ર છે.
જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રી ત્યાગ કરવામાં આવે નહિ ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે. ત્યાં સુધી આત્મામાં છળકપટ રમતો હોવાથી ધર્મ પરિણમતો નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે.
મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું કારણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ થાય છે. સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાની પામ્યો છે ત્યાં તેટલી બોધબીજ ભૂમિકા થાય છે. સ્વચ્છંદ ત્યાં પ્રાયે દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે. ૧) આ લોકની અલ્પ પણ શુભેચ્છા. ૨) પરમ વિનયની ઓછાઈ. ૩) પદાર્થનો અનિર્ણય. પાત્રતા માટે ઉપદેશ પ્રધાન વચનો :
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવો.