________________
૧૨૮
સંબંધરૂપ થઈ પરિણમે છે. કર્મનો ઉદયકાળ એ એનું સ્વતંત્ર પરિણમન છે. અને આ બાજુ આત્માનું સ્વભાવરૂપ કે વિભાવરૂપ પરિણમન એ પણ સ્વતંત્ર જ છે. એક જ સમયે થાય છે - ઘણી નિકટતામાં થાય છે છતાં કર્તા-કર્મ સંબંધ નથી, માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એમ જાણવું. દ્રવ્યની સ્વતંત્રતા અને ક્રમબદ્ધ પરિણમનના સિદ્ધાંત ભૂલી ન જવા.
૯) તો પછી નિરંતર કર્મનો નવીન બંધ કેવી રીતે થાય છે ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઉપજેલા ભાવો નવીન કર્મબંધના કારણરૂપ નથી. જીવનો જ્ઞાન-દર્શન-વીર્ય સ્વભાવ છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ છે અને કર્મોના ક્ષયોપશમથી જેટલો જ્ઞાન, દર્શન અને વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો જ અંશ છે, કર્મોદયજન્ય ઔપાધિકભાવ નથી. હવે સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણ કે નિજ સ્વભાવ જો બંધનું કારણ થાય તો બંધથી છૂટવું કેમ થાય ? વળી એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં એ અભાવ અન્યનું કારણ કેમ થાય?
મોહનીય કર્મના ઉદયથી જીવને અયથાર્થ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય છે તથા કષાયભાવ થાય છે. એ ભાવો જીવના છે, જીવ જ તેનો કર્તા છે પણ તેમનું હોવું મોહનીય કર્મના નિમિત્તથી જ છે. એ જીવનો નિજ સ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે. મોહના ઉદયથી ઉત્પન્ન થતાં ભાવો બંધના કારણરૂ; છે. તેવી જ રીતે ધન-કુટુંબાદિ આત્માથી ભિન્ન છે તે બંધના કારણ નથી, પણ આત્માના મમત્વાદિરૂપ મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે જ બંધનના કારણરૂપ જાણવાં.
૧૦) હવે કર્મબંધનમાં પણ પ્રદેશ, પ્રકૃત્તિ, સ્થિતિ અને અનુભાગ એવો બંધ ભાવોની તરતમ્યતા પ્રમાણે થાય છે. યોગ વડે પ્રદેશ વા પ્રકૃત્તિબંધ અને કષાય વડે સ્થિતિ અને અનુભાગ બંધાય છે. કષાય વડે કરેલો સ્થિતિબંધ-અનુભાગ બંધ જ બળવાન છે. એટલા માટે કષાય જ બંધનું કારણ જાણવું. જેઓને બંધ ન કરવું હોય તેઓ કષાય ન કરે એવો આ કર્મનો સિદ્ધાંત બોધ આપે છે. આ સિદ્ધાંત જીવને સમજાવવા વ્યવહારથી કહેવામાં આવ્યો છે.
૧૧) કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા કેમ થાય છે ? ઃ હવે સંસારી જીવને સમયે સમયે અનંત પરમાણુ બંધાય છે. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ આબાધાકાળ છોડી પોતાની સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદયમાં આવે છે. વળી ઘણાં સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈ ઉદય આવે છે, તે સર્વ પરમાણુઓનો અનુભાગ મળતાં જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં નીપજે છે. વળી અનેક સમયમાં બાંધેલા પરમાણુ બંધ સમયથી માંડી ઉદય સમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધરૂપ રહે છે. એ રીતે કર્મોનો બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા જાણવી.