________________
૧૦૭
૧૦ મિથ્યાત્વના બે પ્રકાર :
૧. અગૃહિત ૨. ગૃહિત. ૧. અગૃહિત મિથ્યાત્વ અગૃહિત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે કે
શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા તે અનાદિનું અગૃહિત મિથ્યાત્વ છે. તે કોઈના
શીખવવાથી થયું નથી માટે તે અગૃહિત છે. ૨. ગૃહિત મિથ્યાત્વઃ આ ભવમાં જન્મ થયા પછી પરઉપદેશના નિમિત્તથી જે અતત્ત્વશ્રદ્ધા જીવ ગ્રહણ
કરે છે તે ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. જેને ગૃહિત મિથ્યાત્વ હોય તેને અગૃહિત મિથ્યાત્વ હોય જ. ગૃહિત મિથ્યાત્વના પાંચ ભેદ છે. : ૧) એકાંત ૨) સંશય ૩) વિનય ૪) અજ્ઞાન ૫) વિપરીત મિથ્યાત્વ. ૧) એકાંતઃ પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માને. જેમ કે જીવને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે એકાંત મિથ્યાત્વ છે. ૨) સંશય : આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પરવસ્તુના કાર્યનો કર્તા થતો હશે? એ પ્રકારે સંશય રહેવો તે સંશય મિથ્યાત્વ છે. ૩) વિપરીત મિથ્યાત્વ: મિથ્યાદષ્ટિને સાચા સાધુ માનવા, કેવળી સ્વરૂપને વિપરીત પણે માનવું તે ઊંધી રુચિ તે વિપરીત મિથ્યાત્વ છે. ૪) અજ્ઞાન મિથ્યાત્વ: જ્યાં હિત-અહિતનો કાંઈ પણ વિવેકન હોય, કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે.
૫) વિનય મિથ્યાત્વઃ સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મ મતને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે. ૧૧ દર્શનમોહના લક્ષણો:
૧. અનાત્મીય પદાર્થમાં આત્મબુદ્ધિ (અજીવને જીવ માનવો). ૨. રાગાદિમાં કર્તા બુદ્ધિ - સુખ બુદ્ધિ ૩. શેય તત્ત્વોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ. ૪. પર સત્તામાં - રાગમાં એકત્વ-મમત્વ બુદ્ધિ. ૫. પરની મુખ્યતા - સ્વની ગૌણતા. ૬. વિભાવની રુચિ - સ્વભાવની અરુચિ. ૭. દુઃખમાં સુખની પ્રતીતિ - પર્યાયમાં સંતુષ્ટ બુદ્ધિ. ૮. લોક સંજ્ઞા. ૯. ઓઘ સંજ્ઞા.