________________
મુખ્ય અઠ્ઠાવીસ લબ્ધિઓ, પણ ભેદ-પ્રભેદ ગણો તો અઢળક લબ્ધિ ગણાય. લબ્ધિ અઢળક પણ લબ્ધિનો પ્રયોગ માત્ર બે જ વાર ! ગૌતમને કંજૂસ કહેવા કે કરકસરીયા ! પૈસાને ધન માને તેને કંજૂસાઇ, કરકસર, ઉદારતા કે ઉડાઉપણાના વલણ હોય. પરંતુ અકિંચનને તમે કરકસરીયો પણ કેવી રીતે કહો અને કંજૂસ પણ કેવી રીતે કહો? ગૌતમ લબ્ધિવંત હતા પણ નિસ્પૃહ હતા. તે તો માનતો હતો કે વિનયાદિ આધ્યાત્મિક લબ્ધિઓનું ધાન્ય વાવ્યું તેની સાથે આ ભૌતિક લબ્ધિઓનું ઘાસ સ્વયં ઉગી નીકળ્યું છે. હા, ઘાસ જોઇને પશુ હરખાય ! ગૌતમની ભૌતિક લબ્ધિઓનાં વર્ણનો સાંભળીને હું મુગ્ધ બનેલો હતો. મને બીક પેઠી, હું જનાવર તો નહીં ? માથે હાથ અડાડ્યો તો મૂઢતાનું શીંગડું ઉગેલું હતું !
અહીં નોંધવું ઘટે કે સૂર્ય કિરણોનાં આલંબનથી અષ્ટાપદતીર્થની યાત્રા અને અંગુષ્ઠ લબ્ધિથી દીક્ષિત તાપસોને ક્ષીરદાન આ બન્ને લબ્ધિપ્રયોગ ગૌતમ પ્રભુએ અષ્ટાપદ ઉપર જ પ્રયોજ્યા હતા. ધન્ય અષ્ટાપદ !
સાલ-મહાસાલ વગેરે મુનિઓની સાથે તેમના ભાણેજ ગાંગલિ વગેરેને દીક્ષા પ્રદાન કરીને ગૌતમ આવી રહ્યા હતા અને માર્ગમાં તે બધા આત્માઓને કેવળજ્ઞાન થઇ ગયું ! સમવસરણમાં પ્રભુને વંદન કર્યા વિના કેવલીની પર્ષદામાં બેસવા જતા આ મુનિઓને ગૌતમે અટકાવ્યા ત્યારે પ્રભુએ ટકોર કરીઃ ગૌતમ, કેવલીની આશાતના ન કરો. હેબતાઇ ગયા ગૌતમ. ભગવંતે મને ભરસભામાં કેમ ટોક્યો? તેનો આ આઘાત નહોતો. પ્રભુનાં મુખમાંથી નીકળતું પ્રત્યેક વચન જેમને મન અમૃતરસથી જરાય ઉતરતું નહોતું તે ગૌતમ તો પ્રભુની આ ટકોરને અમૃતપાનની એક દિવ્યાનુભૂતિનો અવસર જ સમજે ! તો, આ મુનિઓ કેવલી બનીને ખાટી ગયા તેની ગૌતમનાં પેટમાં કોઇ બળતરા પણ નહોતી. મૃતિમંત પ્રમોદભાવ સમા આ ગણધરને તો પ્રમોદ ભાવનાની પાવન સરિતામાં ઝીલવાનો એક વધુ અવસર મળ્યો. પણ, ગૌતમે બેચેન બન્યા. અવૃતિ થઇ. જેને દીક્ષા આપું તેને આ કેવલસુંદરી વરમાળા પહેરાવે છે, મારો વારો ક્યારે આવશે ? ગૌતમસ્વામીની ગેરહાજરીમાં સમવસરણમાં પ્રભુમુખે ગવાયેલો અષ્ટાપદ
- ૩૩