________________
જ. ચૂલાના અગ્નિ અને રંધાતી વાનગી વચ્ચે તાંબા, પિત્તળ, સ્ટીલ કે એલ્યુમિનિયમની તપેલી તો માત્ર માધ્યમ જ બને છે. તો પણ તે ધાતુની અસર વાનગીમાં ઊતરે જ છે.
ભાષા ક્યારેય નિરાવરણ ન હોઈ શકે. ભાષા પોતાના દેશ-પ્રદેશની ભૌગોલિક અને પ્રાકૃતિક સ્થિતિ, રૂઢિઓ, પ્રણાલીઓ, માન્યતાઓ, ભાવનાઓ અને સંસ્કારોનો સ્પર્શ પામેલી હોય છે. માત્ર અભિવ્યક્તિ કરીને ભાષા છૂટી નથી જતી. તે વક્તા, શ્રોતા અને અધ્યેતા ઉપર પોતાની અસર અને પ્રભાવ પાથરતી રહે છે.
વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં ગણિત, ઈતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાન શીખે છે. ત્યારે માત્ર તે વિષય જ નથી શીખતો, સાથે માત્ર અંગ્રેજી પણ નથી શીખતો, અંગ્રેજી ભાષામાંથી પ્રતિબિંબિત થતી જીવનની દષ્ટિ અને ભાવનાઓનું પણ તેને સાથે શિક્ષણ મળતું હોય છે. તે ગણિતના દાખલાઓની સાથે જીવનનું તે પ્રકારનું ગણિત પણ તેની જાણ બહાર તે શીખતો હોય છે.
તમે માતૃભાષાની અવગણના કરીને તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકો છો ત્યારે માત્ર તેનું ભાષા-પરિવર્તન નથી થતું. ભૂષા-પરિવર્તન થાય છે, ભોજનપરિવર્તન થાય છે અને ભાવના-પરિવર્તન પણ થાય છે. આટલું ગંભીર નુકસાન વેઠીને પણ પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જીદે ચડેલા ગુજરાતી માતા-પિતાઓ માટે ખૂબ શરમની અને તેમના તે બિચ્ચારા સંતાનો માટે કરુણાની લાગણી થઈ આવે છે.
બાળક ધર્મથી વિખૂટું પડે છે, સાંસ્કૃતિક પ્રણાલીઓથી વિખૂટું પડે છે અને તેથીય આગળ વધીને આખા પરિવારથી વિખૂટું પડે છે. દાદા-દાદી બિલકુલ અંગ્રેજી સમજતા નથી, પપ્પા-મમ્મી અધકચરું અંગ્રેજી સમજે છે અને કોન્વેટિયું ટાબર અધકચરું ગુજરાતી ! જ્યાં ભાષાની સંવાદિતા પણ ન હોય તે પરિવારમાં સંબંધની, લાગણીની અને ભાવનાની સંવાદિતાને અસર તો પહોંચે છે.
દાદા-દાદી અને પૌત્ર-પૌત્રી કદાચ એક જ ઘરમાં રહેતા હોય તો પણ તે બે પેઢી વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ જેટલું અંતર ઊભું થઈ શકે છે! કાકા-કાકી, મામા-મામી કે ફોઈ-આ જેવા નિકટના સગાં પણ ઘરે પધારે ત્યારે નવી અંગ્રેજી પેઢીને ઉમળકાનો આવેગ નથી જનમતો. પપ્પાકે મમ્મીના કોઈ મહેમાન આવ્યા હોય તેમાં તેને શું? માતાપિતાના અસીમ ઉપકારોને સંતાન તેમણે બજાવેલી ફરજ રૂપે ખતવી નાંખે તો દોષ તેનો નથી, તેને પરણાવવામાં આવેલી ભાષા અને તે ભાષામાં પ્રતિબિંબિત થતી સંસ્કૃતિનો છે. તે ભાષા સાથે તેનો પનારો પાડનારને કદાચ દોષિત ગણી શકાય.
ભવ્ય ભાષાઃ માતૃભાષા
૭૨