________________
મનન, વિચાર-વિમર્શ-પરામર્શ; પોતાના આત્માનું સ્વરૂપ કેવું છે ? એ સ્વરૂપ તાત્ત્વિક દૃષ્ટિએ કેવું છે? - એ વિશેની ઊંડી વિચારણા; બીજા કેટલા વિચારકો, તત્ત્વચિંતકો, વિવેચકો : આ ક્રિયાપદનો વાચ્યાર્થ તો, ઐ(ગાવું, એ ધાતુ)ના પરોક્ષ ભૂતકાળનાં રૂપ તરીકે, “ગાયું છે' એવો થાય, પરંતુ અહીં “કહે છે', “માને છે,” “સમજે છે,' એવો અર્થ લેવાનો છે. (૩૨-૩૩)
અનુવાદ :- મોક્ષનાં સાધનોની સામગ્રીમાં, “ભક્તિ વધારે ચઢિયાતી છે. પોતાનાં (આત્માનાં) સ્વરૂપનું અનુસંધાન, એને જ “ભક્તિ' કહેવામાં આવે છે. બીજા (કેટલાક તત્ત્વચિંતકો) પોતાના આત્માનાં તાત્ત્વિક સ્વરૂપને “ભક્તિ માને છે. (૩૨-૩૩)
ટિપ્પણ :- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, - એ ચાર એટલે મનુષ્યજીવનના ચાર પુરુષાર્થો (Four aims of human life), પરંતુ એની પરમ (Highest) અને ચરમ (ultimate) સાર્થકતા તો મોક્ષની પ્રાપ્તિ.
પરંતુ આ “મોક્ષ' એ કાંઈ સામાન્ય પદ નથી. એ તો એક અત્યંત દુર્લભ અને, મહદંશે તો, અલભ્ય સ્થિતિ છે. પણ અહીં તો એને પામવા મથતા સાચા અને સંનિષ્ઠ સાધકોની જ ચર્ચા છે; એટલે, એની પ્રાપ્તિનાં સાધનો અને એ સાધનોની સામગ્રી શી ? - એનો જવાબ મેળવવો જ રહ્યો. ભારતીય દર્શન(Philosophy)પરંપરામાં, આ વિશે ઊંડું અને સવિસ્તર વિવેચન-વિશ્લેષણ થયું છે. અનેક ભિન્ન ભિન્ન તત્ત્વચિંતકોએ પોતાના વિશિષ્ટ અને લાક્ષણિક અંગત દષ્ટિકોણ પ્રમાણે, આ સવાલના જવાબો આપ્યા છે. પરંતુ આચાર્યશ્રીની નજર સમક્ષ તો સામાન્ય સાધક છે, એટલે તો તેઓશ્રી સહેલો ને સટ્ટ, ટૂંકો ને ટચ્ચ જવાબ આપે છે કે એ બધી સામગ્રી ભલે રહી, સહુથી સક્ષમ અને ચઢિયાતી સામગ્રી એટલે “ભક્તિ' !
પણ તો પછી બીજો સવાલ એ ઊભો થાય કે “ભક્તિ એટલે શું ? શબ્દ તો ખૂબ જાણીતો, સહેલો અને લગભગ સર્વ-પરિચિત છે, પરંતુ “ભક્તિ એટલે, ખરેખર, શું ?
આચાર્યશ્રીએ, સૌપ્રથમ તો, તેમને પોતાને જે અભિપ્રેત છે, એવી “ભક્તિની વ્યાખ્યા, સમજૂતી આપી છે.
ભક્તિ' એટલે પોતાનાં (આત્માનાં) સ્વરૂપનું અનુસંધાન ! મોટે ભાગે અને સામાન્ય રીતે, મનુષ્ય એના સ્વભાવની સમજની-બુદ્ધિની મર્યાદાને કારણે, પોતાની નજર સામેનાં બાહ્ય બ્રહ્માંડને જોવા-જાણવા-ઓળખવાની વૃત્તિ ધરાવે છે. પરંતુ એને ખબર નથી કે એની પોતાની જ ભીતર, અંતઃકરણમાં, સૂક્ષ્મ અને સાત્વિક સમૃદ્ધિ ધરાવતું એક બીજું બ્રહ્માંડ’ પણ છે ! પણ બહારની આંખોને બંધ કરીને, પોતાનાં મનશ્ચલુને ખોલીને, એ અંદર જુએ, જોઈ શકે, તો એને આ બીજાં બ્રહ્માંડનાં દર્શન થાયને પોતાનાં અંતરાત્માનાં આસન પર બિરાજી રહેલું એ બ્રહ્માંડ એટલે જ પરમાત્મા !
વિવેકચૂડામણિ | ૯૩