________________
તેમની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી, અધ્યાપન-કારકિર્દી, શોખની પ્રવૃત્તિઓ, મેળવેલ સિદ્ધિઓ અને સન્માનો, પ્રાપ્ત કરેલ વિવિધ સમિતિઓનાં સભ્યપદો અને પ્રકાશન કાર્યો વિશે, ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલ આત્મવૃત્તાંતમાંથી, વિગતો પ્રાપ્ત થઈ શકશે. આ ઉપરથી તેમની ભવ્ય ઉપલબ્ધિઓનો ખ્યાલ મળે છે. આમ તો, માનવજીવન મળવું દુર્લભ છે, વિદ્વત્તા મળવી દુર્લભતર છે અને કવિત્વની પ્રાપ્તિ તો દુર્લભતમ છે. આ ત્રણેય શ્રીજયાંનદભાઈએ પ્રાપ્ત કરેલ છે અને પોતાની ચીવટવાળી પ્રકૃતિથી તેમણે જે કંઈ પ્રવૃત્તિ કરી છે, તે દીપી ઊઠી છે. આ છાપેલ આત્મવૃત્તાંત(Bio-Data)માં જેનો સમાવેશ થતો નથી એવી કેટલીક બાબતો વિશે હવે હું યથાશક્તિ રજુઆત કરીશ.
વર્ષો પહેલાં, અમરેલીમાં, મુ.શ્રીજયાનંદભાઈ દવેનાં પ્રમુખપદે પૂ. શ્રીમોરારીબાપુનું રામાયણ વિશેનું વ્યાખ્યાન યોજાયેલું. પૂ. બાપુએ પોતાનાં વક્તવ્યને વિરામ આપ્યો અને પછી શ્રીજયાનંદભાઈનું ભાષણ શરૂ થયું. તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રોતાઓને જકડી રાખ્યા. અવ્યવસ્થા થશે એવી આયોજકોની આશંકા દૂર થઈ અને પૂ.મોરારીબાપુ પણ શ્રીજયાનંદભાઈની વાકછટાથી પ્રસન્ન થઈ ગયા. પછી તો મહુવાનાં ગુરકુલમાં સંસ્કૃત અકાદમી આયોજિત વ્યાખ્યાનોમાં શ્રીજયાનંદભાઈનું વ્યાખ્યાન પૂ.બાપુએ દર વખતે આદરપૂર્વક સાંભળેલું, એવી મને માહિતી પ્રાપ્ત થયેલી છે. શ્રીજયાનંદભાઈએ આ વસ્તૃત્વ-છટા, પોતે ભણતા ત્યારથી, પ્રાપ્ત કરેલી છે, એમ તેમના કરતાં બે વર્ષ આગળ શામળદાસ કૉલેજ(ભાવનગર)માં અભ્યાસ કરતા મારા સ્વ.પિતાશ્રી શાંતિભાઈએ મને જણાવેલું. આવી વસ્તૃત્વકળા ધરાવનાર પોતાનો પુત્ર વકીલ થાય અને ધીરધાર અને જમીનદારીના ધંધામાં મદદરૂપ બને, એવી આશા શ્રીલક્ષ્મીશંકર દવેને હતી, પણ શ્રીજયાનંદભાઈ તો રહ્યા સરસ્વતીના આરાધક : અસત્યનો આશ્રય લેવો પડે એવા વકીલના વ્યવસાયને બદલે એમણે શિક્ષક થવું પસંદ કર્યું અને કરાંચીથી આ વ્યવસાયની શરૂઆત કરી. તેમની લાક્ષણિક વક્નત્વ-છટાનો લાભ, કરાંચીની શિક્ષણ-સંસ્થાઓના વિદ્યાર્થીગણ, સિદ્ધાર્થ કૉલેજ (મુંબઈ) અને મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થીગણ, મોરબીની રોટરી ક્લબના સભ્યો, રાજકોટનાં પ્રણવાનન્દ સંસ્કૃત ભવનનાં શ્રોતાઓ અને છેલ્લે ગાંધીનગરનાં શ્રી અરવિંદ કેન્દ્રનાં શ્રોતાઓને પ્રાપ્ત થયેલો છે. દ્વારકાધીશ મંદિરમાંથી જન્માષ્ટમીએ કૃષ્ણજન્મનો “આંખે દેખ્યો અહેવાલ રજૂ કરીને અને રેડિયો તથા ટેલિવિઝનના માધ્યમથી તેમણે આ લાભ ખૂબ જ વિશાળ પ્રમાણમાં શ્રોતાઓને આપ્યો છે.
શ્રીજયાનંદભાઈ સાથે મારો સંબંધ ૧૯૬૩ના જુલાઈની ૧૫મી તારીખથી
વિવેકચૂડામણિ | ૪૧