________________
ટિપ્પણ – પહેલી વાત તો એ કે તમોગુણ પોતે જ દુરન્ત' છે, એનો અંત લાવવો, એનો નાશ કરવો અત્યંત કઠિન છે, એનાં અસ્તિત્વને મિટાવવાનું કામ ઘણું અઘરું છે; એટલે એનાં આવાં સ્વરૂપમાંથી જ સર્જાતી શક્તિ, - “આવરણ'શક્તિની પ્રબળતા, તાકાત પણ એવી-એટલી જ મોટી હોય, તે સ્વાભાવિક છે.
આ શ્લોકમાં આચાર્યશ્રીએ, બીજી મહત્ત્વની વાત એ કહી છે કે સાધક મનુષ્યની ગમે તેવી ઉચ્ચ પ્રજ્ઞા-મેધા, એનું ગમે તેવું પાંડિત્ય, એની ગમે તેવી કાર્યદક્ષતા, વસ્તુને જોવા-સમજવાની એની ગમે તેવી અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિ હોય, - આવી સમૃદ્ધ સગુણસંપત્તિ એની પાસે હોય તે છતાં, પેલી આવરણ-શક્તિ પાસે તે સંપૂર્ણરીતે લાચાર, અસહાય, નિરુપાય થઈ જાય છે ! કોઈ સર્વોચ્ચ કક્ષાના સદ્ગુરુએ તેને, અનેક રીતે, બહુવિધ દૃષ્ટાંતો આપીને, સવિસ્તર સમજાવ્યું હોય કે“ભાઈ ! આ સંસાર મિથ્યા છે, અસત્ય છે, આભાસ-માત્ર છે !” તે છતાં પણ તે તમોગુણના વ્યાપમાં આવી જાય, એટલી જ વાર! “શેઠની શિખામણ ઝાંપા સુધી !”- એ લોકપ્રચલિત કહેવત પ્રમાણે, એની પેલી માતબર સદ્ગુણસંપતિ અને સદ્ગુરુજીની સઘળી દીક્ષા-શિક્ષા, - આ બધું જ, તમોગુણે સર્જેલી એની મૂઢતા પાસે પળવારમાં હતું-ન-હતું થઈ જાય છે ! એનાં સમગ્ર અસ્તિત્વ પર તમોગુણની પકડ એવી સખત અને સજ્જડ હોય છે, કે એ બિચારો રાંક બની જાય છે, અને એ શક્તિને વશવર્તીને જ એને રહેવું પડે છે ! આવરણશક્તિનો આ જ મહિમા, એની પ્રતિષ્ઠા, અને આ જ એની આશ્ચર્યજનક પ્રબળતા !
પહેલી, ઉપર છલ્લી નજરે, જોનારને એમ અવશ્ય લાગે કે આવાં નિરૂપણમાં તો આવરણશક્તિની પ્રશંસા કે સ્તુતિ (વખાણ) કરવામાં આવી છે. પરંતુ તમોગુણની આ શક્તિનો, મોક્ષસાધક મનુષ્યનાં મન-હૃદય પર જે વિનાશક પ્રભાવ પડે છે, તેને લક્ષમાં લઈએ, - એટલે કે તે મનુષ્યની મોક્ષપ્રાપ્તિ માટેની પાત્રતા, એનો એ માટેનો સઘળો અધિકાર, બધું જ નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે, તેનો વિચાર કરીએ, ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે – ના, ના, આ કંઈ “સ્તુતિ' ન કહેવાય, આવું ખરાબ પરિણામ લાવનારનાં આ કંઈ વખાણ ન કહેવાય ! એ શક્તિનું આવું નિરૂપણ પોતે જ એની “નિન્દા' બની રહે છે ! આવાં નિરૂપણમાંથી જ મોક્ષાર્થીને ચોકખી ચેતવણી મળી જાય છે કે, - “જોજે, ભાઈ ! આ આવરણશક્તિથી લાખ જોજન દૂર રહેજે !” જેનાથી દૂર રહેવાની ભલામણ થતી હોય, એ કોઈ સારી વસ્તુ તો હોય જ નહીં ! બસ, આ જ એની નિદા' !
સ્તુતિ' (વખાણ) કર્યા પછી, એ “સ્તુતિ' દ્વારા જ, કોઈની “નિન્દા કરવામાં આવે, એ “અલંકાર (Figure of speech)ને સાહિત્યનાં શાસ્ત્રના જાણકારો “વ્યાજસ્તુતિ” અલંકાર કહે છે.
આ શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૧૧)
૨૩૦ | વિવેકચૂડામણિ