________________
વિવેકચૂડામણિ
વેદાન્તવિધાના પાયાના સિદ્ધાંતોનું મર્મસ્પર્શી માર્ગદર્શન આપતો ‘પ્રકરણ—ગ્રંથ'
:
મનુષ્ય-જીવનના ચાર પુરુષાર્થો એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંના પ્રથમ ત્રણ તો સામાન્ય છે અને મનુષ્યનાં ઐહિક જીવનને જ સ્પર્શે છે; પરંતુ ચોથો પુરુષાર્થ મોક્ષ તો, મૃત્યુની પેલી પારનાં, - એટલે કે એનાં પારલૌકિક જીવનના મર્મ સાથે સંબંધ ધરાવતો હોવાથી, તે, ક્રમમાં ભલે ‘ચરમ’, છતાં મહત્ત્વની દૃષ્ટિએ તો ‘પરમ’ પુરુષાર્થ ગણાય છે, એમાં સંપૂર્ણ ઔચિત્ય છે.
હકીકતમાં, મોક્ષની પ્રાપ્તિ એ જ મનુષ્યજીવનની અંતિમ, આત્યંતિક અને ઉચ્ચતમ ઇતિકર્તવ્યતા, ધન્યતા, કૃતાર્થતા અને પરાકાષ્ઠા(Climax) છે, એમાં કશી શંકા નથી.
આ ગ્રંથના આરંભમાં જ, ગ્રંથકાર આદિ શંકરાચાર્યે, આ મોક્ષપ્રાપ્તિને, મનુષ્યના “સ્વાર્થ” તરીકે નિરૂપીને, એમાં પ્રમાદ ન કરવા આદેશ આપ્યો છે અને એમ ન કરનારને ‘મૂઢમતિ' તથા ‘આત્મઘાતક' કહ્યો છે (શ્લોકો ૩, ૪, ૫). અને આ સિદ્ધિ માટે, મોક્ષાર્થી સાધકનાં પોતાના જ પ્રયત્ન અને પુરુષાર્થ પર તેમણે ભાર મૂક્યો છે :
વાત્મનાત્માનું મળ્યું સંસારવારિથી । (શ્લોક-૯)
અને આ પરમ પુરુષાર્થને પામવાની વિદ્યા એટલે વેદાન્તવિદ્યા. પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરાએ જે છ દર્શનો(Six systems of Indian Philosophy)ને સ્વીકાર્યાં છે તે (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા) પૈકીનું છેલ્લું ઉત્તરમીમાંસા એટલે વેદાન્ત.
આ “વેદાન્ત”-શબ્દ જરા સમજવા જેવો છે ઃ સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, વેદાન્ત એટલે વેદોનો અંત, એટલે કે વેદોને અંતે જે આવે તે. વૈદિક સાહિત્યમાં, સૌપ્રથમ ચાર વેદો પછી બ્રાહ્મણ-ગ્રંથો અને આરણ્યક-ગ્રંથો, પછી સાવ છેલ્લે આવતા ગ્રંથો એટલે ઉપનિષદો. આમ, ‘અંત’-શબ્દના માત્ર વાચ્ય અને સ્થૂલ અર્થમાં તો, ઉપનિષદો ‘વેદાંત’ છે જ; પરંતુ ‘અંત’ એટલે સાર, મૂલ, મર્મ, નિષ્કર્ષ (Essence) - એવા લક્ષ્યાર્થમાં પણ ઉપનિષદો વેદાંત છે. અને “વેદાન્ત”-શબ્દનો આ જ અર્થ સવિશેષ સાચો અને વેદાન્ત-વિદ્યાના આચાર્યોએ માન્ય રાખ્યો છે;
વિવેકચૂડામણિ / ૨૧