________________
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે કે “નામાવો વિદ્યતે સતઃ” (અ-૨/૧૬) “સત વસ્તુનો કોઈ કાળે અભાવ હોતો નથી.” શ્રીકૃષ્ણ ભગવાનના વાક્ય પ્રમાણે વિચાર કરતાં સમજાય છે કે જેનો ક્યારેય અભાવ ન હોય તે સત્ય કે નિત્ય કહેવાય. અભાવ બે પ્રકારનો હોય છે. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ પૂર્વે વસ્તુનું જે ન હોવાપણું છે અર્થાત્ અભાવ છે તેને શાસ્ત્રની પરિભાષામાં પ્રાગભાવ કહે છે. જેમ વસ્તુની ઉત્પત્તિ પૂર્વે તે વસ્તુનો અભાવ હોય છે તેમ તેના નાશ પછી પણ તે વસ્તુનો અભાવ થાય છે. નાશ પછી થનારા અભાવને શાસ્ત્રમાં પ્રધ્વસાભાવ કહેવામાં આવે છે. આમ, વસ્તુમાત્રનો બે પ્રકારનો અભાવ જાણવામાં આવે છે. દરેક વ્યક્તિની ચોક્કસ જન્મતારીખ હોય છે માટે તે વ્યક્તિનું શરીર તેની જન્મતારીખ પૂર્વે ન હતું એવું સિદ્ધ થાય છે. જો શરીર તેની જન્મતારીખ પૂર્વે ન હોય, તો એવું કહેવાય કે જન્મતારીખ પૂર્વે શરીરનો અભાવ હતો. જન્મ પૂર્વે અભાવ હોવાને લીધે શરીરને પ્રાગભાવ છે એવું જાણી શકાય છે. તેવી જ રીતે મૃત્યુ પશ્ચાત્ શરીરને બાળી નાંખવામાં આવે છે, દાટી દેવામાં આવે છે કે બીજી કોઈ પણ રીતે શરીરનો નાશ થઈ જાય છે. મૃત્યુ પછી શરીરનો અભાવ થતો હોવાથી શરીરને પ્રધ્વસાભાવ પણ છે. શરીરને પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ છે. માટે શરીર નિત્ય કે સત્ય હોઈ શકે નહીં. તેવી જ રીતે દરેક પદાર્થ કે પરિસ્થિતિને પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ હોય છે. માટે તે સત્ય નથી. સત્ય તે જ કહેવાય જેને પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ ન હોય. બ્રહ્મ અનાદિ અને અનંત છે, સર્વદા ભાવવાળું ભાવસ્વરૂપ છે. માટે કેવળ બ્રહ્મ સત્ય છે, તેનાથી વ્યતિરિક્ત, તેનાથી અન્ય સર્વ કાંઈ અનિત્ય છે આવું જાણવું તે જ વિવેક છે.
અન્ય દષ્ટિકોણથી વિચાર કરતાં, સત્ય તેને કહેવાય જે દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન હોય. દેશથી અપરિચ્છિન્ન હોવું અર્થાત્ દેશના બંધનથી રહિત હોવું કે દેશની સીમાઓથી પર હોવું. શરીરનો ચોક્કસ આકાર છે અને આકાર હોવાને લીધે શરીર એક જ જગ્યાએ રહેલું છે. શરીર એક જ સમયે સર્વ જગ્યાએ હોઈ શકે નહીં. એક જ જગ્યામાં અથવા