________________
થયેલા હતા. તાત્પર્ય એ છે કે સાધનાકાળમાં તેઓની પણ સંદેહયુક્ત સ્થિતિ હતી,તેમને પણ શંકા થઈ હતી કે, પરમાત્મા સાકાર છે કે નિરાકાર? પરમાત્મા અને મારો ભેદ છે કે અભેદ? આપણા જીવનમાં આવી જ મૂંઝવણભરી અવસ્થામાંથી બહાર નીકળવા આપણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે મૂર્તિ અને તેનું પૂજન, યજન આદિ સર્વ કર્મો આપણને સાધન તરીકે આપવામાં આવ્યા છે. મૂર્તિપૂજા અંતિમ સાધ્ય નથી, તે કદાપિ જીવનનું અંતિમ લક્ષ્ય બની શકે નહીં. મૂર્તિપૂજા માટે આપણા સમાજમાં એવો ભ્રમ છે કે મૂર્તિપૂજા અંતિમ લક્ષ્ય છે. મૂર્તિપૂજા ખોટી છે કે મૂર્તિપૂજા ન કરવી જોઈએ એવું ક્યાંય લખ્યું નથી, પરંતુ એની મર્યાદા સમજવી જોઈએ. મૂર્તિપૂજા સાધન છે, તેનો ઉપયોગ કરી આગળ વધવું જોઈએ. આત્મસાક્ષાત્કાર કરવો હોય તો સાકારમાંથી નિરાકારમાં પ્રવેશ કરવા પ્રયાણ કરવું જોઈએ. સાકાર તો નિરાકારનું પ્રવેશદ્વાર છે. આપણને નિર્ગુણમાં પ્રવેશ મળે તે માટે પરમાત્માનું સંગુણરૂપ દ્વાર માત્ર છે. શરૂઆતમાં આપણે એ દરવાજો ખટખટાવીએ એમાં કંઈ જ વાંધો નથી પરંતુ દરવાજા પાસે જ અટકી જઈએ તે યોગ્ય નથી. સગુણ સાકારરૂપ જો પ્રવેશદ્વાર છે તો તેમાં પ્રવેશ કરી આગળ વધવું જોઈએ.મૂર્તિની પૂજા કરતાં કરતાં એવું સમજવાનું છે કે આ મૂર્તિ, જે આકાર છે, તે ચેતન કે ભગવાન નથી, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા દ્વારા તત્ત્વનું મૂર્તિમાં આવાહન કર્યું છે તે ભગવાન છે. જો એમ ન હોત તો આપણે ગમે તે મૂર્તિની પૂજા કરતા હોત, પરંતુ તેમ ન કરતાં માત્ર એવી જ મૂર્તિની પૂજા કરીએ છીએ જેમાં પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠા કરેલી હોય.
આપણે માનીએ છીએ કે પ્રાણપ્રતિષ્ઠા કરવાથી મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. હવે વિચાર કરીએ કે પ્રાણપ્રતિષ્ઠાની વિધિ કરવાથી જો પરમાત્મા મૂર્તિમાં આવતા હોય, તો શું કોઈએ પરમાત્માને મૂર્તિમાં પ્રવેશ કરતાં જોયા છે? કોઈએ જોયા નથી અને છતાં પ્રવેશ થાય છે એવું આપણે માનીએ છીએ. માટે આપણે પરમાત્માને આંખે દેખાય તેવા માનતા નથી. આપણે તે પરમાત્માની પૂજા કરીએ છીએ જે પ્રાણપ્રતિષ્ઠા સમયે મૂર્તિમાં આવે છે. આવતા હોવા છતાં આંખે દેખાતા નથી, માટે આપણે નિરાકાર