________________
૨૯૧
સંસારને વૃક્ષની ઉપમા આપી વર્ણન કર્યું છે અને મુંડક શ્રુતિમાં એક જ વૃક્ષ ઉપર બેઠેલા જીવ અને પરમાત્મારૂપી પક્ષીની વાત કરી છે. તેનો સમન્વય કરી પ્રસ્તુત શ્લોકમાં, સંસારવૃક્ષનું વર્ણન કર્યું છે.
આ સંસારરૂપી વૃક્ષનું બીજ અર્થાત્ ઉપાદાન કારણ અજ્ઞાન છે એવું સમજાવવામાં આવ્યું છે. અજ્ઞાનરૂપી બીજથી જન્મેલો સંસાર ભલે અનાદિ હોય, પરંતુ અંતવાન હોવો જ જોઈએ. કારણ કે તેનું કારણ કે બીજ, જે અજ્ઞાન છે તે પોતે જ અનાદિ અને સાંત છે. આવા અજ્ઞાનરૂપી સંસારવૃક્ષમાં જે ફણગો કે અંકુર ફૂટે છે તે અંકુર એટલે દેહને જ આત્મા માનવો, એવી ભ્રાંતિરૂપી ફણગો કે અંકુર છે. તે જ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા વિષયોમાં રાગ, આસક્તિ કે મોહ થવો, તેને વૃક્ષના પાંદડા ગણાવ્યા છે. જીવાત્મા દ્વારા સંસારમાં જે કોઈ કર્મ થાય છે તેને જળ કહ્યું છે અર્થાત્ કર્મરૂપી જળથી જ સંસારવૃક્ષ પુષ્ટ થાય છે અને વૃદ્ધિ પામે છે. શરીરને એ જ વૃક્ષનું થડ ગણાવ્યું છે, પ્રાણ એ વૃક્ષની અનેક ડાળીઓ છે અને ઇન્દ્રિયોનો સમુદાય એ ડાળીઓનો અગ્ર ભાગ છે. તે જ પ્રમાણે ઇન્દ્રિયોના વિષયો એ પુષ્પો છે. તદુપરાંત વિવિધ કર્મોથી ઉત્પન્ન થયેલાં અનેક પ્રકારનાં દુઃખો એ જ જુદાં જુદાં ફળ કહેવામાં આવે છે. આવા કર્મોથી ઉત્પન્ન સુખ-દુઃખરૂપી ફળને વૃક્ષ ઉપર રહેનારું જીવરૂપી પક્ષી ભોક્તાભાવે ભોગવે છે. '
આવા વર્ણનથી સ્પષ્ટ થયું કે જીવાત્મારૂપી પક્ષી સંસારવૃક્ષ ઉપર બેસી, કર્મના સુખ-દુઃખરૂપી ફળને ભોગવે છે. પરંતુ તે જ સંસારવૃક્ષ ઉપર અન્ય પક્ષી કે જે કર્મના ફળ ચાખતું નથી પણ સાક્ષીભાવે જોયા કરે છે તેને જ અભોક્તા પરમાત્મા કહેવાય છે. સુજ્ઞ મુમુક્ષુએ સંસારવૃક્ષના જીવરૂપી પક્ષી સાથે તાદાત્મ ન કરતા સાક્ષીરૂપી પક્ષી, પરમાત્મા સાથે ઐકય સાધવું જોઈએ અને “હું સાક્ષી પરમાત્મા છું', એવું જ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો જ સંસારરૂપી વૃક્ષનું છેદન થઈ શકે અને તેની આસક્તિથી બચી શકાય.