________________
૧૦
શ્રદ્ધા પ્રજવલિત થાય તે માટે અનેક દેવ-દેવીઓની સ્તુતિ અને સ્તોત્રો પણ તેમણે રચ્યાં. સામાન્ય વ્યક્તિ માટે મોહમુગર તથા ચર્પટપંજરિકા જેવા નાના, સ૨ળ અને સમજાય તેવાં પ્રેરણાદાયી સ્તોત્રો પણ તેમણે રચ્યાં. તેમનું ભક્તહૃદય, બુદ્ધિચાતુર્ય, પ્રકાંડ વિદ્વત્તા અને તેની સાથે સાથે કર્મયોગની પરાકાષ્ઠા જેવું ધર્મપ્રચારનું કાર્ય, તેમની પ્રતિભા વ્યક્ત કરે છે.
શંકરાચાર્યજીને એવું લાગ્યું કે ભગવદ્ગીતા અને ઉપનિષદોના રહસ્યો સામાન્ય વ્યક્તિને સરળતાથી સમજાય તેવાં નથી. આમ હોવાથી ગીતા અને ઉપનિષદો સમજાય તે માટે જરૂરી એવાં નાના નાના ગ્રંથોની તેમણે રચના કરી. આવાં પૂર્વભૂમિકા તૈયાર કરવાવાળા પ્રારંભિક ગ્રંથોને શાસ્ત્રની ભાષામાં ‘પ્રકરણગ્રંથો’ કહેવામાં આવે છે. આ પ્રકરણગ્રંથોમાં શાસ્ત્રના પારિભાષિક શબ્દોની પ્રાથમિક સમજ, નવોદિત સાધકને સમજાય તેવી સરળતાથી આપવામાં આવી છે. વેદાંતના ગહન રહસ્યોને પામવા માટે, એ અવ્યક્ત તત્ત્વને સ્પર્શવા માટે, જે પારિભાષિક શબ્દોની જરૂર પડે છે તેની ઊંડાણપૂર્વક સચોટ સમજ માટે પણ આ પ્રકરણગ્રંથોનો અભ્યાસ ક૨વો જોઈએ. પરંતુ શાસ્ત્રાધ્યયનની પરંપરા નષ્ટપ્રાય થઈ છે. દા.ત. જેમ કોઈ પિતાને એવું થાય કે મારા પુત્રને શાળામાં ન ભણાવતાં સીધો જ મહાવિદ્યાલયમાં પ્રવેશ અપાવી દઉં તો ઝડપથી શિક્ષણકાર્ય પૂર્ણ કરી શકે, પરંતુ તે શક્ય નથી. તે જ પ્રમાણે પ્રકરણગ્રંથોના અભ્યાસ વિના ભગવદ્ગીતા કે ઉપનિષદનું અધ્યયન શક્ય નથી. તેમ છતાં એવા કેટલાક સાધકો જોવા મળે છે, જેમને પ્રકરણગ્રંથોને સ્પર્શ કર્યા વિના સીધા ભગવદ્ગીતા અને ઉપનિષદોનું અધ્યયન કરવું છે. તેમને પ્રકરણગ્રંથોના અભ્યાસમાં રસ હોતો નથી પણ ભગવદ્ગીતા કે ઉપનિષદ જેવા મોટા ગ્રંથોના જ શ્રવણની ઇચ્છા હોય છે. અરે! કેટલાક તો પ્રકરણગ્રંથ ન સમજ્યા હોય છતાં પણ ગીતા શીખવવા નીકળી પડે છે. આપણા આચાર્યોએ આ પરંપરામાં આવી વાત સમજાવી નથી અને આપણી વૈદિક પરંપરામાં પણ આવી વાત નથી. જેને પરંપરાનો સ્પર્શ ન હોય તે જ કદાચ આવું કરી શકે. ભગવદ્ગીતાને સમજવી હોય, ઉપનિષદોના રહસ્યો જાણવાં હોય, તો પ્રકરણગ્રંથને સ્પર્શ કર્યા વિના કોઈપણ તેનો અધિકારી બની શકે તેમ નથી. શંકરાચાર્યજીએ પ્રકરણગ્રંથો