________________
નથી.”
આપણે મૂર્તિપૂજક હોત તો પુરાતત્ત્વ ખાતામાં જઈને, અજંતા-ઇલોરાની ગુફાઓમાં જઈને મૂર્તિઓની પૂજા કરતા હોત. પરંતુ પૂજા માટે આપણે તેવા સ્થળોમાં જતાં નથી પણ મંદિરોમાં જઈએ છીએ. મૂર્તિઓનો તો આ દેશમાં તોટો નથી, મૂર્તિઓને ઈશ્વર માની પૂજનારા પણ અનેક છે છતાં તેમાંથી કોઈ પણ અમૂર્ત પરમાત્માનો સ્પર્શ કરી શક્યા નથી. માટે કોઈએ એવી ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી કે આપણે મૂર્તિપૂજક છીએ. એવી વાહિયાત ભ્રાંતિમાંથી આપણે સૌએ દૂર થવાની જરૂર છે. વાસ્તવમાં વૈદિકકાળમાં જે પંચાયતની પૂજા થતી હતી, તેમાં મૂર્તિ નહોતી. મૂર્તિપૂજા તો ઘણી પાછળથી આવી છે, માટે આપણે સમજવાની જરૂર છે કે મૂર્તિમાં પરમાત્મા છે પણ મૂર્તિ એ જ પરમાત્મા નહીં. આપણે નામસ્મરણ કરીએ છીએ કારણ કે તમામ નામ અંતે અનામી પરમાત્માનાં જ છે. તમામ આકાર નિરાકારના જ છે. આપણી સ્પષ્ટ સમજ છે કે કોઈ પણ નામ અને આકારનો સહારી અંતે અનામી અને નિરાકાર પરમાત્મા તરફ જ લઈ જશે. માટે એ અનામીના નામનું સ્મરણ કરીએ છીએ અને નિરાકારના આકારની પૂજા કરીએ છીએ. નામ અને આકારનો સહારો લઈ નામ અને આકારની ક્ષિતિજોની પેલે પાર જવાનો આપણે પ્રયાસ કરીએ છીએ.
નામ અને આકારની મદદથી શું નામ અને આકારની પેલે પાર જઈ શકાય? એવો પ્રશ્ન થાય તો ઉત્તર છે કે, “જરૂર જઈ શકાય.' ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચોમાસું હોય, કાદવ-કીચડ હોય અને ચાલતાં ચાલતાં જો લપસી પડાય, તો જે ધરતી પર પડી ગયા હોઈએ, તે ધરતીને સહારે જ ઊભા થઈએ છીએ. ધરતી પર જ પડી ગયા છીએ, માટે ધરતીનો સહારો લઈએ છીએ. એ જ પ્રમાણે, આપણે નામ અને આકારમાં અટવાયેલા છીએ. માટે નામ અને આકારનો આધાર લઈ નામ અને આકારની પેલે પાર જવાનું છે. તથા વિવેક દ્વારા સમજવાનું છે કે પ્રત્યેક નામ પેલા અનામીનું છે. પ્રત્યેક આકાર પેલા નિરાકારનો છે. વિચાર કરતાં સ્પષ્ટ જ છે કે કોઈ પણ આકાર, તે નિરાકાર વિના સંભવી શકે જ નહીં. તારા,