________________
આ કાર્તિકેય અનુપ્રેક્ષામાં મનુષ્યગતિનાં દુઃખ બતાવવામાં આવ્યાં છે. તમે લોકો દુઃખો અનુભવો જ છો. તો પણ દુઃખના વિષયમાં ચિંતન નથી કરતાં, અનુપ્રેક્ષા નથી કરતાં! કેવાં કેવાં દુઃખ જીવોને સહન કરવો પડે છે? ગભવિસ્થાનાં દુઃખ, જનમનાં દુઃખ અને જન્મ પછી માતાપિતાનું મૃત્યુ થઈ જાય છે, તો પરાશ્રયતાનું દુઃખ, નિર્ધનતાનું દુઃખ વગેરે દુઃખ પાપકર્મોના ઉદયથી ભોગવવાં પડે છે. અશાતાવેદનીય, નીચ ગોત્ર, અશુભ નામકર્મના ઉદયથી દુઃખ સહન કરવાં પડે છે.
જે મનુષ્યોના પુણ્યકર્મનો ઉદય થાય છે એવા માણસોને પણ ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગનાં દુઃખ સહન કરવો પડે છે. ભરત ચક્રવર્તી જેવા શ્રેષ્ઠ પુરુષને પણ નાનાભાઈ બાહુબલિથી હાર ખાવાનો પ્રસંગ આવતાં દુઃખ સહન કરવું પડ્યું હતું ને? સનત્કુમાર ચક્રવર્તી જેવા શ્રેષ્ઠ પુરુષને શરીરમાં ૧૬ રોગ ઉત્પન્ન થઈ ગયા હતા ને? પુણ્યશાળી માણસને પણ મનોવાંચ્છિત સુખ મળતાં નથી. કોઈને સ્ત્રીનું સુખ નથી હોતું! શરીર નીરોગી હોય તો ધનધાન્યાદિની પ્રાપ્તિ નથી થતી. સર્વસ્વ પ્રાપ્ત થયું હોય તો પણ મોત આવી જાય છે.
કોઈની પત્ની દુરાચારિણી હોય છે, તો કોઈનો પતિ વ્યભિચારી હોય છે. કોઈનો પુત્ર જુગાર રમે છે, શરાબી હોય છે, તો કોઈનો ભાઈ શત્રુત્વનો વ્યવહાર કરે છે. કોઈની પુત્રી દુરાચારિણી હોય છે. કોઈનો પુત્ર સારો હોય, ગુણવાન હોય, પરંતુ તરણાવસ્થામાં મૃત્યુ પામે છે. કોઈની પત્ની સારી હોય છે, તો અકાળ મૃત્યુ પામે છે. કોઈની પાસે વિપુલ ધનસંપત્તિ હોય છે, તો પણ આગ - ભૂકંપ આદિમાં વિનાશ પામે છે.
તમે જુઓ જ છો, સાંભળો જ છો કે ધનવાન નિધન થઈ જાય છે અને નિર્ધન ધનવાન બની જાય છે.
રાજાઓનાં રાજ્ય ચાલ્યાં ગયાં અને નિમ્નજાતિના લોકો મોટાંમોટાં પદો ઉપર આરુઢ થઈ જાય છે. વેરી મિત્ર બની જાય છે અને મિત્ર વેરી બની જાય છે. દેવગતિનાં દુઃખઃ
આ તો મનુષ્યગતિનાં દુઃખ બતાવ્યાં, દેવગતિનાં પણ દુઃખો હોય છે. સામાન્ય રૂપે તમે લોકો એવું સમજો છો કે દેવલોકમાં દેવદેવીઓ સુખ જ સુખ ભોગવે છે! પરંતુ આખોટી ધારણા છે. દેવોને પણ દુખ હોય છે. આપણા કરતાં વધારે હોય છે ! પોતાના કરતાં વધારે સુખસંપત્તિ વૈભવવાળા દેવોને જોઈને દેવોને માનસિક દુઃખ થાય છે. મોટામોટા વૈભવશાળી દેવોને પણ દેવાંગનાઓનો વિયોગ થાય છે, ત્યારે દુઃખ થાય છે. તમામ ભૌતિક સુખવિષયાધીન હોય છે, એનાથી જીવોને તૃપ્તિ કેવી રીતે થાય? તૃષ્ણા વધતી જ રહે છે.
૨૦૦
શાન્ત સુધારસ: ભાગ ૧