SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયિનીમાં પ્રવેશ કરવાનો માર્ગ સ્મશાન પાસેથી પસાર થતો હતો. જ્યારે હું સ્મશાન પાસે પહોંચ્યો. તો મેં એક ભયાનક દૃશ્ય જોયું. “શું જોયું ગુરુદેવ ?” મહામંત્રી વચ્ચે બોલી ઊઠ્યા. ત્યાં એક મનુષ્યને શૂળી ઉપર ચડાવ્યો હતો. તે મરી ગયો હતો. એની પાસે એક સ્ત્રી બેઠી હતી અને તે કરુણ સ્વરે રોઈ રહી હતી. હું ત્યાં ઊભો રહ્યો. મને એ સ્ત્રી ઉપર દયા આવી. મેં પૂછ્યું : ‘હે સ્ત્રી, તું શા માટે રડે છે ?’ તેણે જણાવ્યું કે ‘હું દુઃખી છું.’ મેં પૂછ્યું ઃ તું કઈ વાતે દુઃખી છે ? તે બોલી ઃ ‘તને કહીને શું લેવાનું, જે પુરુષ મારું દુઃખ દૂર કરી શકે તેને કહેવાનો અર્થ છે.’ મેં કહ્યું : ‘હું તારું દુઃખ દૂર કરીશ.’ સ્ત્રીએ કહ્યું - ‘આ સૂળી ઉપર જે પુરુષ છે, તે મારો પતિ છે. રાજાએ એને એના અપરાધની શિક્ષા કરી છે. તે હજુ મર્યો નથી, મારી ઇચ્છા એને ભોજન કરાવવાની છે. તું મને એ ઊંચાઈએ ચડાવી દે તો હું એને ભોજન કરાવી શકું.’ મેં કહ્યું : ‘ઠીક છે, તું મારા ખભા ઉપર ચડી જા.' તેણે કહ્યું : જ્યાં સુધી હું એને ભોજન કરાવું ત્યાં સુધી તારે ઉપર જોવાનું નહીં. મેં કહ્યું ઃ બરાબર, હું ઉપર જોઈશ નહીં. એ સ્ત્રી માશ ખભા ઉપર ચડી ગઈ. થોડાક સમય પછી મારા શરીર ઉપર કેટલાંક બિંદુઓ પડવા લાગ્યાં - અંધારું હતું એટલે ખ્યાલ ન આવ્યો કે એ બિંદુઓ શાનાં હતાં ! પાણીનાં બિંદુઓ સમજીને મેં ઉપર જોયું નહીં, પરંતુ જ્યારે વધારે પ્રમાણમાં બિંદુઓ પડવા લાગ્યાં ત્યારે મને લોહીની વાસ આવવા લાગી. મેં ઉપર જોયું.... હું કંપી ઊઠ્યો. એ સ્ત્રી એ પુરુષના શરીરમાંથી માંસ ખાઈ રહી હતી ! હું એ સ્ત્રીને એ સમયે જ ખભા ઉપરથી જમીન ઉપર પછાડીને ભાગ્યો, પરંતુ મારી તલવા૨ લેવાનું ભૂલી ગયો હતો. એ સ્ત્રી મારી તલવાર લઈને મારી પાછળ દોડી. દોડતો હું નગરના દરવાજામાં પ્રવેશ કરતો હતો ત્યારે મારો એક પગ દરવાજાની બહાર હતો. એ સમયે એ સ્ત્રીએ મારો એક પગ કાપી નાખ્યો અને લઈને તે ભાગી ગઈ. મને અત્યંત વેદના થતી હતી. હું દરવાજાની અંદર આવી ગયો હતો. ત્યાં જ બેસી ગયો; દરવાજાની અંદર દુર્ગરક્ષિકા દેવીનું મંદિર હતું. હું ધીરે ધીરે એ મંદિરમાં ગયો અને કરુણ સ્વરે દેવી સમક્ષ વિલાપ કરવા લાગ્યો. દેવી પ્રકટ થઈ અને વાત્સલ્યથી તેણે મને પૂછ્યું : ‘વત્સ, જે મનુષ્ય નગરની અંદર હોય છે, એની રક્ષા હું કરી શકું છું - તારો એક પગ દુર્ગની બહાર હતો; એટલા માટે કપાઈ ગયો. પરંતુ ચિંતા ન કર, તારો પગ હું સારો કરી દઉં છું. દેવીને વંદન કરીને હું મારે સ્વસુરગૃહે ગયો. ઘર બંધ હતું. પરંતુ અંદર જે વાર્તાલાપ થઈ રહ્યો હતો તે સાંભળવા લાગ્યો. મારી સાસુ અને મારી પત્ની અંદર અંદર વાત કરી રહી હતી. મારી સાસુ બોલતી હતી : બેટી, આજ આ માંસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું, તેનું કારણ શું ?’ સંસાર ભાવના ૧૮૩
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy