________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
307
દેવી અદૃશ્ય થઈ ગઈ. એટલે તેની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે તે પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્રમુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોમાં અગ્રેસર અને ઉદ્ભવતા અંતર શત્રુઓને અગોચર થયા.
એવામાં પ્રભાવક પુરુષની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા સોમચંદ્રમુનિને સૂરિપદને યોગ્ય સમજી શ્રીસંઘને બોલાવીને શ્રી દેવચંદ્ર ગુરુ કહેવા લાગ્યા કે – “યોગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી અમારે આત્મસાધન કરવું ઉચિત છે. અમારા પૂર્વના આચાર્યો પણ સદા એ આચાર આચરતા આવ્યા છે.' પછી તે જ વખતે સુજ્ઞ નૈમિત્તિકો પાસે તેમણે લગ્નનો વિચાર ચલાવ્યો. એટલે તેમણે પણ વિચાર કરીને આ પ્રમાણે સર્વોત્તમ ગુણયુક્ત સમય બતાવ્યો –“અલ્પ કર્ક રાશિમાં ગુરુ હોય, મેષમાં બુધયુક્ત સૂર્ય હોય, વૃષમાં ચંદ્ર અને ધનમાં છઠ્ઠો ભૌમ લાભસ્થ હોય, ધર્મસ્થાન મીનમાં શુક્ર અને વૃષમાં અગિયારમો શનિ હોય, કન્યામાં ત્રીજો રાહુ સર્વ વિઘ્નોનો નાશ કરે છે, એમ સર્વ ગ્રહોના બલયુક્ત લગ્ન સમૃદ્ધિ કરનાર નીવડે છે. વળી પૂર્વ હોરા ચાંદ્રી હોય, દ્રષ્કાણ પ્રથમ હોય, વર્ગોત્તમ ચંદ્રાંશ નવમો કે બારમો હોય, ગુરુનો ત્રીશમો અંશ હોય કે છઠ્ઠો હોય – આ ગુણમંડિત લગ્નમાં જે દેવ કે પુરુષની પ્રતિષ્ઠા થાય છે, તે રાજ માન્ય, જગપૂજય અને જગતમાં મુગટ સમાન માનનીય થાય છે.
એ પ્રમાણે મુહૂર્તનો નિર્ણય કર્યા પછી વૈશાખ મહિનાની. તૃતીયાના દિવસે શ્રીસંઘ તથા નગરના અધિકારીઓએ મહોત્સવ શરૂ કરતાં. ચારેબાજુ મંગલ વાદ્યોનાં નાદથી સમય સૂચિત થતાં નંદી વિધાનના ક્રમથી પૂરક ધ્યાનથી શ્વાસ પૂરતાં અને કુંભકથી તેનો ઉદ્ભેદ્ કરતાં શ્રીદેવચંદ્રસૂરિએ અંતરાત્મામાં નિષ્ઠાવાળા અને સુજ્ઞ શિરોમણિ એવા શ્રીસોમચંદ્રમુનિના કાન અગર, કપૂર અને ચંદનના દ્રવ્યથી ચર્ચિત કરીને, પૂર્વે શ્રીગૌતમાદિ સૂરીશ્વરોએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને કાનમાં સંભળાવ્યો. એટલે કામદેવનો તિરસ્કાર કરનાર તથા અનેક કળાઓના આધારરૂપ એવા શ્રી સોમચંદ્રમુનિ શ્રીહેમચંદ્રસૂરિ એવા નામથી વિખ્યાત થયા.
તે વખતે પોતાનો પુત્ર આવી ઉચ્ચ પદવી પર આવતાં સ્નેહને ધારણ કરનાર પાહિની શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરુના હાથે ચારિત્ર અંગીકાર કર્યું, એટલે તે અભિનવ આચાર્યે ગુરને વિનંતી કરીને સભા સમક્ષ તે જ વખતે ગુરુના હાથે પોતાની માતા સાધ્વીને પ્રવર્તિની પદ અપાવ્યું, અને તેને સિંહાસન પર બેસવાનું શ્રીસંઘ પાસે તેમણે કબૂલ રખાવ્યું. અહો ! ઉત્તમ પુરુષોની માતૃભક્તિ કેવી અદ્ભુત હોય છે.
હવે શ્રીસંઘરૂપ સાગરના કૌસ્તુભ સમાન શ્રીહેમચન્દ્રસૂરિએ એકવાર અણહિલપુર નગર તરફ વિહાર કર્યો. ત્યાં એક દિવસે સિદ્ધરાજ રમવાડીએ નીકળેલો તે વખતે બજારમાં એક બાજુ ઉભેલા શ્રીહેમચન્દ્ર સૂરિને જોતાં તેણે અંકુશથી હસ્તીને નજીકમાં ઉભો રાખીને જણાવ્યું કે - તમારે કંઈ કહેવાનું છે ?'
ત્યારે આચાર્ય પણ બોલ્યા કે - “હે સિદ્ધરાજ ! શંકા વિના ગજરાજને આગળ ચલાવ. દિગ્ગજો ભલે ત્રાસ પામે, પણ તેથી શું? કારણ કે પૃથ્વીને તો તું જ ધારણ કરી રહ્યો છે.'
એ પ્રમાણે સાંભળતાં ભારે સંતુષ્ટ થયેલ સુજ્ઞ શિરોમણિ રાજા કહેવા લાગ્યો કે – ‘તમે બપોરે હમેશાં મને પ્રમોદ પમાડવા આવજો.’ આ એવા સમયે ગુરનું તેને પ્રથમ દર્શન થયું કે જેથી રાજાને ભારે આનંદ થયો અને દિગ્યાત્રામાં તેનો જય થયો.