________________
શ્રી પ્રભાવક ચરિત્ર
ભાતના કોઠાર ૫૨ બેઠેલ શુક કહેવા લાગ્યો ‘હે દેવ ! એ નિઃસ્પૃહ યતિઓને ધનની ઇચ્છા ન હોય માટે જો જિનાલય કરાવવામાં આવે તો એમને અને તને પુણ્ય પ્રાપ્ત થાય.’ એમ સાંભળતાં રાજાએ જણાવ્યું કે — ‘ભલે એમ થાઓ' એટલે મંત્રીએ રાજાની આજ્ઞાથી તેમાં બીજા દ્રવ્યનો ઉમેરો કરીને અલ્પ દિવસોમાં મેરુની ચુલિકા સમાન ઉન્નત અને મહાન પ્રાસાદ તૈયાર કરાવ્યો, જે સુવર્ણ અને રત્નના કુંભ તથા ધ્વજાઓથી ભારે શોભવા લાગ્યો, તેમજ શ્રી આદિનાથ પ્રભુનું પીતળનું અદ્ભુત બિંબ ભરાવ્યું કે જે કાંતિના સમૂહથી સૂર્ય બિંબની જેમ દૃષ્ટિને આંજી દેતું હતું. પછી વિક્રમ સંવત્ ૧૧૮૩ ના વૈશાખ માસની દ્વાદશીના દિવસે ચાર આચાર્યોએ તેની પ્રતિષ્ઠા કરી. એ પ્રમાણે પ્રભાવનાના પૂરથી ભીંજાયેલ ધર્મીજનોના હૃદયરૂપ ક્ષેત્રમાં બોધિબીજને આરોપતા એવા શ્રી દેવસૂરિ ચિરકાળ વિચરવા લાગ્યા.
304
—
એકવાર પિપ્પલવાટક નામના અરણ્યમાં જતાં ગુરુરાજે સિંહને રેખા દોરીને નિષેધ કર્યો અર્થાત્ તેને અટકાવી દીધો, ત્યાં વનભૂમિમાં વિહાર કરતાં બાલ વૃદ્ધાદિ સાધુઓ ક્ષુધાદિની બાધાથી વ્યાકુળ થવા લાગ્યા. કારણ કે તે વખતે અન્ય કાંઈ ઉપાય ન હતો. એવામાં આચાર્યે ગચ્છની ચિંતામાત્ર કરતાં અકસ્માત્ ત્યાં કોઈ સાર્થ આવી ચડ્યો, તેણે સાધુઓને પ્રાસુક ભક્ત પાનાદિક વહોરાવ્યા.
પાંડવો પૂર્વે અગસ્ત્યઋષિએ સમુદ્રનું પાન કરેલ જોઈને પરવાદિરૂપ અગસ્ત્યને અગમ્ય એવું સ્યાદ્વાદરત્નાકર નામે નવું શાસ્ત્ર તેમણે બનાવ્યું કે જે સ્વાદિષ્ટ વચનામૃતયુક્ત તથા પ્રમેયરૂપ સેંકડો રત્નો સહિત અને લક્ષ્મી (અદ્ભુત રચના) થી વિભૂષિત છે.
એ પ્રમાણે અનેક અતિશયયુક્ત અને સદા જ્ઞાન ધ્યાનમાં તત્પર એવા શ્રી દેવસૂરિ મહારાજે ત્ર્યાશી વર્ષ વ્યતીત કર્યા. પછી શ્રી ભદ્રેશ્વરસૂરિને ગચ્છનો ભાર સોંપીને પોતે જૈનપ્રભાવનાથી સ્થિર એવા આત્મકલ્યાણમાં નિમગ્ન થયા, એટલે વિક્રમ સંવત્ ૧૨૨૬ ના શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં સપ્તમી અને ગુરુવારના દિવસે પાછલા પહોરે મનુષ્ય લોકના ભવ્યોને પ્રતિબોધ પમાડીને જાણે ઇન્દ્રને બોધ કરવાની ઇચ્છા થઈ હોય એમ શ્રીદેવસૂરિ સ્વર્ગે ગયા. સંવત્ ૧૧૪૩માં તેમનો જન્મ થયો, ૧૧૫૨ માં તેમણે દીક્ષા લીધી અને ૧૧૭૪માં તેઓ આચાર્ય પદ પામ્યા એમ નવમે વર્ષે તેમણે દીક્ષા લીધી અને તે પછી એકવીશમે વર્ષે આચાર્યપદે આવ્યા. બધું મળીને તેમણે ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
એ રીતે ક્ષુદ્ર વાદીઓના પ્રવાદને હઠાવનાર, સત્વહીન જનોને અલભ્ય તથા જિનશાસન અને ભવ્યાત્માઓને વિકાસ પમાડનાર શ્રીદેવસૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર આજ-કાલના ભવ્ય જનોને કલ્યાણકારી થાઓ તથા સેંકડો પંડિત જનોના અભ્યાસમાં આવતાં તે યાવચંદ્રદિવાકરૌ જયવંત વર્તો.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરીને શુદ્ધ કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી દેવસૂરિના ચરિત્રરૂપ આ એકવીશમું શિખર થયું.
જે ગુરુ સંસા૨ી પ્રાણીઓના દુઃખને દૂર કરવામાં સમર્થ તથા કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્ન કરતાં પણ અદ્ભુત અર્થ (દ્રવ્ય) ને આપે છે, તથા જેમના નામરૂપ મંત્રના સ્મરણથી પ્રદ્યુમ્નમુનિ આચાર્યપદના અધિકારી થયા, એવા શ્રીમાન્ કનક પ્રભસૂરિનું મારાથી યથાર્થ વર્ણન શી રીતે થઈ શકે ?