________________
276
શ્રી પ્રભાવક ચરિત્ર
કરો. તેથી અમને સંતોષ છે, પણ તમારા મરણથી અમને ભારે દુઃખ થાય તેમ છે. શ્રી ભોજરાજા પોતાની સભા જીતનારને અવશ્ય મારે છે. શું કરીએ, અહીં તો જય કે પરાજયમાં શ્રેય જ નથી.'
એમ સાંભળતાં વીર અને ધીર પુરુષોમાં અગ્રેસર એવા સૂરાચાર્ય બોલ્યા કે—‘તમે ખેદ ન કરો. હું મારું પોતાનું રક્ષણ કરીશ.”
એવામાં કવિચક્રવર્તી ધનપાલે પોતાના એક સેવકને મોકલીને સૂરાચાર્યને સમાચાર આપ્યા કે—આપ પૂજ્ય ગમે તે રીતે સત્વર મારા ઘરે આવી જાઓ. એ રાજાનો ભયંકર પ્રસાદ કોઈ રીતે વિશ્વાસ કરવા લાયક નથી. આપ જેવા વિખ્યાત વિદ્વાન સર્વ દેશના મંડનરૂપ છો. ભાગ્યના અતિશયથી જ મારા જેવાને દુર્લભ એવા તમે મળ્યા છો. મને મળ્યા પછી તમારે કોઈ પ્રકારની અવૃતિ કરવાની નથી. હું અવશ્ય તમને સુખે ગુર્જર દેશમાં પહોંચાડીશ.'
આ વાત ચાલતી હતી, તેવામાં પ્રભાતે “અહો ! સાધુઓનું ભાગ્ય જાગ્રત છે.” એમ બોલતાં ઘોડેસ્વારોએ તે ચૈત્યને ઘેરી લીધું અને ત્યાંના મઠવાસી આચાર્યને જણાવ્યું કે–‘વાદીઓનો ધ્વંસ કરનાર ઍવા તમારા વિદ્વાન અતિથિને મોકલો. રાજા તમને પ્રસન્નતાપૂર્વક જયપત્ર આપવાનો છે.”
ત્યારે મુખને પ્લાન કરતાં શૂન્ય બનીને તે આચાર્યે તેમને કહ્યું કે તે અતિથિ આવશે.'
પછી સૂર્યના તાપથી પ્રચંડ મધ્યાન્હ કાળ થતાં આચાર્ય બહાર ચાલ્યા ગયા. તે વખતે વેષનું પરાવર્તન કરી એક અણગારનું મલિન અને જીર્ણ વસ્ત્ર ધારણ કરી ચૈત્યદ્વારથી બહાર નીકળતાં સૂરાચાર્યને સુભટોએ જણાવ્યું કે “હે શ્વેતાંબર ! અંદર જા, બહાર શા માટે નીકળે છે? જ્યારે ગુર્જર વિદ્વાન રાજાને સુપ્રત કરશો, ત્યારે જ બધા છુટા થઈ શકશો.” -- -
એમ સાંભળતાં વિકરાલ મુખ કરીને તે વક્રોક્તિથી કહેવા લાગ્યા કે “અરે ! રાજાની જેમ ગર્વથી આપણો વૈરી અંદર સિંહાસન પર બેઠો છે, તેને કાનેથી પકડીને સ્વામી પાસે લઈ જાઓ, કે જેથી તેને જયપત્ર કે : યમપત્ર મળે. અમે તો તમારા નગરવાસી છીએ અને ભારે તૃષાતુર થવાથી તમારી આજ્ઞા લઈ જળ લેવા જઈએ છીએ, માટે અમને સત્વર મુકી દો. આથી એક ઘોડેસ્વારે દયાથી તેને છોડાવ્યો, એટલે નિર્ભય થઈને સૂરાચાર્ય તે પંડિતરત્ન ધનપાલના ઘરે ચાલ્યા ગયા. ત્યાં ધનપાલ કહેવા લાગ્યો કે- વચનાતીત એક તાનથી રાહ જોતાં તમે યતીશ્વર યમના દૃષ્ટિપથથી અંતર્ધાન થઈને મારી દૃષ્ટિમાં આવ્યા છો. હું આજે જ તમારો જન્મ થયો સમજું છું. અને આજે જ તમારો ગચ્છ પુણ્યશાળી થયો, કે જૈન શાસનરૂપ આકાશમાં ભાસ્કર સમાન તમે અહીં આવી ગયા.” પછી તેણે પુનઃ પ્રશ્ન કર્યો કે–‘તમે અહીં આવ્યા શી રીતે ?” ત્યારે સૂરાચાર્યે બધી યથાર્થ વીતક વાત કહી સંભળાવી, જે સાંભળતાં ધનપાલ પરમ આનંદ પામ્યો. હવે તેમને એક વિશાલ ભૂમિગૃહ (ભોંયરા)માં આદરપૂર્વક રાખીને તે ભક્તિથી તેમને શુદ્ધ આહાર આપવા લાગ્યો.
એવામાં તાંબુલી લોકોને અણહિલપુર જતા જોઈને ભોજન, વસ્ત્રાદિકથી તેમનો ભારે સત્કાર કરતાં ધનપાલે તેમને કહ્યું કે—‘તમે મારા એક ભ્રાતાને અણહિલ્લપુર સુધી લઈ જાઓ.’ તેમણે કહ્યું–‘બ્રાહ્મણ તો રાજાઓને પણ પૂજનીય હોય છે. વળી તમે તો રાજાઓમાં માન પામેલ સુજ્ઞ શિરોમણિ છો. માટે આપનો આદેશ પ્રમાણ છે. અમે એ કાર્ય અવશ્ય કરીશું. આ બાબતમાં તમારે જરાપણ ચિંતા ન કરવી. અમે તેમને પરિવાર સહિત લઈ જઈશું. તે ભલે યાન પર આરોહણ, ભોજન વગેરે બાબતમાં નિશ્ચિત થઈને ચાલે.