________________
230
શ્રી પ્રભાવક ચરિત્ર
જોયા. પુણ્યહીનજનોને દુર્લભ એવા કેટલાક મુનિઓ વિવિધ ક્રિયા કરતા હતા, કેટલાક જાગતા ગુરુ પાસે ઉત્સાહથી બે રાત્રિનો કાલ નિવેદન કરતા હતા, કેટલાક સ્વાધ્યાયમાં લીન હતા, કેટલાક ઉત્કટિક આસને અને કેટલાક ગોદોહિક આસને તેમજ કેટલાક વર-આસને બેઠા હતા. તેમને જોતાં સિદ્ધ ચિંતવવા લાગ્યો કે – “સમસુધાના ઝરણામાં દેવતાઓની જેમ આ મુનિઓ સારી રીતે સ્નાન કરવાથી શીતલ થઈ ગયા છે અને મોક્ષની ઈચ્છાવાળા તેઓ તૃષ્ણાથી ભય પામ્યા છે. મારા જેવા વ્યસનમાં આસક્ત અને સ્વગુરુને વિષે પણ ભક્તિ ન ધરાવનાર કે જેના મનોરથ રૂપ વૃક્ષો વિપરીત ફળ આપનારા જ થાય છે. આ લોકમાં અપયશ અને પરલોકમાં દુર્ગતિ આપનાર એવા આ જન્મને ધિક્કાર છે, છતાં ભાગ્યયોગે આ શુભ અવસર મળ્યો કે આ મહાત્માઓ દષ્ટિગોચર થયા. એમનું દર્શન થવાથી ક્રોધાયમાન માતાએ પણ મારા પર એક રીતે ઉપકાર કર્યો. કારણ કે “ગરમ ક્ષીર પણ પિત્તનો નાશ કરે છે.' એમ ચિંતવતાં સિદ્ધ તેમને નમસ્કાર કર્યા અને આગળ આવીને બેઠો, એટલે ધર્મલાભ રૂપ આશિષ આપતાં ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે ‘તમે કોણ છો ?' ત્યારે તે સાહસી પ્રગટ રીતે બોલ્યો કે-“શુભંકર શ્રેષ્ઠીનો હું પુત્ર છું. માતાએ જુગારથી અટકાવતાં મને કહ્યું કેઆટલી મોડી રાતે તું જ્યાં દ્વાર ઉઘડેલ હોય ત્યાં ચાલ્યો જા.” માતાના આ વચનથી હું અહીં ઉઘડેલ દ્વાર જોવાથી આવી ચઢ્યો. માટે હવેથી આપના ચરણનું મને શરણ આપો. કારણ કે નાવ મળતાં મહાસાગરથી પાર પામવાની કોણ ઈચ્છા ન કરે ?'
એટલે શ્રતમાં ઉપયોગ આપતાં તેની યોગ્યતાથી મનમાં સંતુષ્ટ થતા ગુરુ તેને ભાવી પ્રભાવક જાણીને કહેવા લાગ્યા કે—‘અમારો વેષ લીધા વિના અમારી પાસે રહી જ ન શકાય, પણ તે સ્વેચ્છાએ ચાલનાર તારા જેવા માટે દુર્ણાહ્ય છે. વળી કાયર પુરષોને દુષ્કર એવું ઘોર બ્રહ્મવ્રત ધારણ કરવું જોઈએ, વળી કાપોતિકા અને સમુદાના વૃત્તિ ધારવાની હોય છે, તેમ સર્વાગે વ્યથા કરનાર કેશલોચ પણ કારણ હોય છે. વેળુના કોળીયાની માફક આ સંયમ સ્વાદરહિત હોય છે. ગામના કંટક સમાન નીચજનોના ઉંચા નીચા આક્રોશવચનો સહન કરવાં તે દાંતથી લોઢાના ચણા ચાવવા બરાબર છે, તથા છ અઠ્ઠમ વગેરે ઉગ્ર તપશ્ચરણ કરવું તે પણ ભારે દુષ્કર છે. વળી પારણામાં સ્વાદિષ્ટ કે નીરસ વસ્તુ પ્રાપ્ત થવા છતાં રાગદ્વેષ ન કરવા, એ બધું આચરવું તારા જેવાને માટે દુષ્કર છે.'
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ કહેવા લાગ્યો કે- ભગવન્! વ્યસનમાં પડેલા મારા જેવા પુરુષો કાન, ઓષ્ઠ, નાસિકા, બાહુ અને પગનો છેદ પામે છે. વળી ક્ષુધાથી વ્યાકુળ થતાં તે ભિક્ષા કે ચૌર્યવૃત્તિથી ગુજરાન ચલાવે છે, શઠાસ્થાને તો તેમને મળતું પણ નથી અને પોતાના સ્વજનોથી તે પરાભવ પામે છે. હે નાથ ! તે અવસ્થા કરતાં શું સંયમ દુષ્કર છે? એ તો જગતને વંદનીય છે, માટે મારા શિરે આપ હાથ સ્થાપન કરો.”
ત્યારે ગુરુ બોલ્યા–“હે ભદ્ર ! અમે અદત્ત લેતા નથી. માટે એક દિવસ ધીરજ રાખ, કે જેથી એ વાત અમે તારા સ્વજનોને જણાવીએ; એટલે–“આપનો આદેશ પ્રમાણ છે' એમ કહીને સિદ્ધ ત્યાં રહ્યો. એ યોગ્ય શિષ્યના લાભથી આચાર્ય મહારાજને પરમ હર્ષ થયો.
હવે અહીં પ્રભાતે શુભંકર શ્રેષ્ઠીએ પુત્રને બોલાવ્યો, પણ જવાબ ન મળ્યો. તેથી સંભ્રાંત થઈને તેણે જોયું, તો પોતાની પત્ની નીચું મુખ કરીને બેઠી હતી. એટલે તેણે તેણીને પૂછ્યું કે “આજે રાત્રે સિદ્ધ કેમ આવ્યો નથી ?'